AAPના ૭ સંસદસભ્યોને BJPમાં ભેળવી દેવાની રાજ્યસભાની મંજૂરી BJPના હવે ૧૧૩ સંસદસભ્યો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આમ આદમી પાર્ટી (AAP)ના ૭ બળવાખોર સંસદસભ્યોને રાજ્યસભાના સચિવાલય તરફથી ભારતીય જનતા પાર્ટી (BJP)માં ભેળવી દેવાની મંજૂરી મળી ગઈ છે. રાજ્યસભાના સચિવાલયે ગઈ કાલે સવારે આ વિશે એક સૂચના જાહેર કરી હતી. BJP પાસે હાલમાં રાજ્યસભામાં ૧૦૬ બેઠકો છે, પરંતુ વિલીનીકરણની જાહેરાત અને રાજ્યસભાના અધ્યક્ષની મંજૂરી પછી આ સંખ્યા વધીને ૧૧૩ થશે. AAPની સંખ્યા ઘટીને ફક્ત ૩ થઈ જશે, જ્યારે કૉન્ગ્રેસના રાજ્યસભામાં ૨૯ સંસદસભ્યો છે.
શુક્રવારે રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠકે AAPના ૭ સંસદસભ્યોને BJPમાં ભેળવી દેવાની જાહેરાત કરી હતી. રાઘવ ચઢ્ઢાએ આને AAPના બે-તૃતીયાંશથી વધુ સંસદસભ્યોને BJPમાં ભેળવી દેવા તરીકે જણાવીને તેમણે રાજ્યસભાને પત્ર લખીને પણ વિલય માટે પરવાનગી માગી હતી. ગઈ કાલે આ સંદર્ભમાં રાજ્યસભાના સચિવાલયે વિલયને મંજૂરી આપતું જાહેરનામું બહાર
પાડ્યું હતું.
ADVERTISEMENT
રાઘવ ચઢ્ઢાએ શું કહ્યું?
રાઘવ ચઢ્ઢાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘ભારતીય બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને રાજ્યસભામાં AAPના બે-તૃતીયાંશથી વધુ સંસદસભ્યો BJPમાં ભળી ગયા છે. રાજ્યસભાના અધ્યક્ષને સુપરત કરાયેલા દસ્તાવેજ પર ૭ સંસદસભ્યોએ હસ્તાક્ષર કર્યા છે. મેં અન્ય બે સંસદસભ્યો સાથે વ્યક્તિગત રીતે સહી કરેલો દસ્તાવેજ સુપરત કર્યો હતો.’
