ડોમ્બિવલીના ત્રણ ટૂરિસ્ટે જીવ ગુમાવ્યો, ગુજરાતના એક ટૂરિસ્ટનો જીવ ગયો
જીવ ગુમાવનાર વિજય નરવાલના મૃત શરીર પાસે તેમની પત્ની
આતંકવાદીઓએ હુમલો કર્યો હતો ત્યારે પહલગામમાં મહારાષ્ટ્રના ૧૧ ટૂરિસ્ટ હોવાનું જાણવા મળ્યું હતું. એમાંથી દિલીપ ડિસલે, હેમંત જોશી, સંજય લેલે અને અતુલ મોને નામના ટૂરિસ્ટનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે માણિક પાટીલ, એસ ભાલચંદ્ર, આસાવરી જગદાળે, પ્રગતિ જગદાળે, સંતોષ જગદાળે, કૌસ્તુભ ગાબોટે અને સંગીતા ગાબોટેને ઈજા પહોંચી છે. હેમંત જોશી, સંજય લેલે અને અતુલ મોને ડોમ્બિવલીના નવા પાડા, પાંડુરંગવાડી અને નાંદિવલીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.
મોદીને તમે માથે ચડાવ્યા છે
ADVERTISEMENT
ગોળીબારમાં બચી ગયેલી પુણેની ટૂરિસ્ટ આસાવરી જગદાળેએ કહ્યું હતું કે ‘તેઓ ઘોડા પાસે હતાં ત્યારે બે લોકો આર્મીનો યુનિફૉર્મ પહેરીને અમારી પાસે આવ્યા હતા. તેમાંના એકે મારા પિતાને અઝાન પઢવાનું કહ્યું હતું. અમે હિન્દુ છીએ એટલે પિતા અઝાન નહોતા પઢી શક્યા. અમે મુસ્લિમ ન હોવાનું જાણ્યા બાદ અમારા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અમને બધાને ગોળીઓ વાગી હતી, પરંતુ જીવ બચી ગયા છે. ગોળીબાર કરનારા આતંકવાદીએ કહ્યું હતું કે અમે સ્ત્રીઓને કંઈ કરતા નથી એમ છતાં તમે અમારી બદનામી કરી છે, અમારા ધર્મને તમે કલંક લગાવ્યું છે, મોદીને તમે માથા પર ચડાવ્યા છે.’
નામ-ધર્મ પૂછીને ગોળીઓ મારી
મહારાષ્ટ્રના પુણેના કર્વેનગરમાં રહેતા એક પરિવારના પાંચ લોકો પહલગામના મિની સ્વિટ્ઝરલૅન્ડ તરીકે ઓળખાતા સ્થળે કાશ્મીરી કપડાંમાં ફોટો પડાવતા હતા ત્યારે આર્મીના યુનિફૉર્મમાં કેટલાક આતંકવાદી આવી પહોંચ્યા હતા. તેમણે બધાનાં નામ પૂછ્યાં હતાં. ટૂરિસ્ટ મુસ્લિમ ન હોવાનું જાણ્યા બાદ તેમણે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.
તને નહીં મારું, જા મોદીને જઈને કહી દે
આતંકવાદી હુમલામાં કર્ણાટકના રહેવાસી મંજુનાથનું મૃત્યુ થયું છે. તેની પત્ની પલ્લવીએ કહ્યું હતું કે ‘હું, પતિ અને પુત્ર કાશ્મીર ફરવા આવ્યાં હતાં. બપોરે ૧.૩૦ વાગ્યે અમે પહલગામમાં હતાં ત્યારે ત્રણથી ચાર લોકોએ અમારા પર હુમલો કર્યો હતો. તેમણે મારી નજર સામે પતિને ગોળી મારી હતી, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. પતિને મારી નાખ્યા છે એટલે મને અને પુત્રને પણ ગોળી મારવાનું કહ્યું હતું ત્યારે એક આતંકવાદી બોલ્યો હતો, ‘હું તને નહીં મારું, જા મોદીને જઈને કહી દે.’
બચવા નદીમાં કૂદ્યા
ઘણાબધા ટૂરિસ્ટ ઘોડા પર બેસીને જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબારમાં બચી ગયેલા ટૂરિસ્ટોના જણાવ્યા મુજબ આતંકવાદીઓએ વીસથી ૨૫ મિનિટ સુધી એકથી બીજા સ્થળે જઈને ફાયરિંગ કર્યું હતું. ટૂરિસ્ટો જ્યાં હતા એ જગ્યા સાંકડી હોવાથી દૂર સુધી દોડવાનું મુશ્કેલ હતું. એટલે ગોળીથી બચવા માટે અનેક ટૂરિસ્ટો નદીમાં કૂદ્યા હતા.
કલમા પઢાવ્યા, પૅન્ટ કઢાવ્યાં
આતંકવાદીઓએ હિન્દુઓને ટાર્ગેટ કર્યા હોવાનું જણાઈ આવ્યું છે. હુમલામાં બચી ગયેલા ટૂરિસ્ટોના કહેવા મુજબ આતંકવાદીઓએ પહેલાં ટૂરિસ્ટોનાં નામ અને ધર્મ પૂછ્યાં હતાં. તેમને કલમા પઢવાનું કહ્યું હતું તો કેટલાક ટૂરિસ્ટનાં પૅન્ટ ઉતારીને તેઓ મુસ્લિમ છે કે નહીં એ જાણ્યું હતું. બાદમાં તેમણે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
ભેળપૂરી ખાઈ રહેલા પતિને ગોળી મારી
આતંકવાદીઓએ પહલગામમાં ગોળીબાર કર્યો હતો ત્યાર પછી એક મહિલાનો વિડિયો સામે આવ્યો હતો, જેમાં મહિલા રડતાં-રડતાં કહે છે કે ‘અમે ભેળપૂરી ખાઈ રહ્યાં હતાં ત્યારે અમારી પાસે આવેલા આતંકવાદીઓએ અમને તમે મુસ્લિમ છો એવું પૂછ્યા બાદ મારા પતિના માથામાં ગોળી મારી હતી.
હનીમૂન માટે ગયેલા નેવીના લેફ્ટનન્ટે હુમલામાં જીવ ગુમાવ્યો
પહલગામના આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓમાં ૨૬ વર્ષના નેવીના લેફ્ટનન્ટ ઑફિસર વિજય નરવાલનો પણ સમાવેશ થાય છે. મૂળ હરિયાણાના વિજય નરવાલની કોચીમાં પોસ્ટિંગ હતી. તેનાં ૧૬ એપ્રિલે લગ્ન થયાં હતાં એટલે પત્ની સાથે હનીમૂન મનાવવા માટે જમ્મુ-કાશ્મીર ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આતંકવાદીઓએ વિજય નરવાલને ગોળી મારી હતી ત્યારે તેની પત્નીએ તેને ગોળી ન મારવાની ખૂબ વિનંતી કરી હતી, પણ તેની વાત આતંકવાદીઓએ નહોતી સાંભળી. વિજય નરવાલના મૃતદેહ પાસે બેસેલી પત્નીનો વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો.

