આમ આદમી પાર્ટીએ કુલ ૨૫૦ પૈકી ૧૩૪ બેઠકો જીતી ઃ ૧૦૪ બેઠકો જીતતાં બીજેપીના ૧૫ વર્ષના શાસનનો અંત આવ્યો: કૉન્ગ્રેસને મળી માત્ર ૯ બેઠક
એમસીડીમાં વિજય બાદ અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, મનીષ સિસોદિયા તથા અન્ય નેતાઓ.
નવી દિલ્હી: દિલ્હી સુધરાઈમાં છેલ્લાં ૧૫ વર્ષથી શાસન કરતી બીજેપીને હરાવવામાં આમ આદમી પાર્ટી (આપ) સફળ થઈ છે. ગઈ કાલે ૨૫૦ વૉર્ડનાં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતાં, જેમાં ‘આપ’ને ૧૩૪ વૉર્ડ જીતીને બહુમતી મળી હતી તો બીજેપીને ૧૦૪ બેઠક મળી હતી. કૉન્ગ્રેસે માત્ર નવ બેઠક મેળવી છે. એમસીડીમાં ૨૫૦ વૉર્ડ છે, તો બહુમતી માટે ૧૨૬ સીટ જીતવાની જરૂર હતી. ‘આપ’એ ૧૩૪ બેઠકો જીતી હતી. એક્ઝિટ પોલે એવી આગાહી કરી હતી કે બીજેપી ખરાબ રીતે હારશે, પરંતુ એવું થયું નથી. એણે ૧૦૪ બેઠક પર વિજય મેળવ્યો હતો.
જીત બાદ કેજરીવાલે માગ્યા મોદીના આશીર્વાદ
ADVERTISEMENT
દિલ્હીમાં નાગરિકોની સુવિધાઓ વધારવાનું વચન આપ્યું
નવી દિલ્હી: ગઈ કાલે દિલ્હીની ચૂંટણી જીત્યા બાદ ઉત્સાહી આમ આદમી પાર્ટી (આપ)એ રાજધાનીમાં નાગરિકોની સુવિધા સુધારવાનું વચન આપ્યું હતું. તો બીજેપીએ એમના કામને જાણવા બદલ મતદાતાઓનો આભાર માન્યો હતો. ‘આપ’એ દિલ્હી સુધરાઈમાં બીજેપીનાં ૧૫ વર્ષના શાસનનો અંત આણ્યો હતો.
બીજેપીના પ્રવક્તા શહેઝાલ પૂનાવાળાએ કહ્યું હતું કે ૧૫ વર્ષ બાદ પણ પાર્ટીએ પોતાના કામના આધારે વોટ શૅર જાળવી રાખ્યો છે. ‘આપ’ના રાજ્યસભાના સંસદસભ્ય સંજય સિંહે કહ્યું હતું કે માંડ ૧૦ વર્ષ જૂની પાર્ટીએ તેના ગઢમાં હરાવી ફરી એક વાર સાબિત કરી દીધું છે કે ‘આપ’ એક ઇમાનદાર પાર્ટી છે. સવારે ૮ વાગ્યે મતગણતરી શરૂ થઈ ત્યારે બીજેપી એક સમયે ૧૦૭ સીટ પર તો આપ ૯૫ સીટ પર આગળ હતી, પરંતુ જેમ-જેમ મતગણતરી આગળ વધી એમ આપે બીજેપીને પાછળ મૂકી દીધી. આપે ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય પ્રધાનો સહિત ઘણા નેતાઓને પ્રચારમાં લગાડ્યા હતા.
વિજય બાદ આપના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાને પાર્ટી કાર્યાલય પર કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે સુધરાઈ ચલાવવા બદલ દિલ્હીના પુત્ર અને ભાઈને પસંદ કરવા આભાર. લોકોની અપેક્ષા પર ખરા ઊતરવાનો પ્રયાસ કરીશું. એ માટે બીજેપી અને કૉન્ગ્રેસનો સહકાર અને કેન્દ્ર તેમ જ વડા પ્રધાનના આશીર્વાદની જરૂર છે.
વિશ્વની સૌથી મોટી અને નકારાત્મક પાર્ટીને હરાવવામાં મદદ થશે : મનીષ સિસોદિયા
‘આપ’ના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ એમસીડી ચૂંટણીમાં વિજય બાદ દિલ્હીના લોકોનો આભાર માનતાં કહ્યું હતું કે આના કારણે વિશ્વની સૌથી મોટી અને સૌથી નકારાત્મક પાર્ટીને હરાવવામાં મદદ મળશે. આ કોઈ વિજય નથી, પરંતુ એક મોટી જવાબદારી છે. દિલ્હી સુધરાઈની ચૂંટણીમાં કુલ ૫૦.૮ ટકા મતદાન થયું હતું.
૧૫ વર્ષ બાદ દિલ્હીના લોકોનો વિજય થયો છે તો નેતાઓ હાર્યા છે. આપે દિલ્હીનું દિલ જીત્યું છે. - ભગવંત માન, પંજાબના મુખ્ય પ્રધાન