બન્ને દેશ વચ્ચે થયો કરાર, નરેન્દ્ર મોદીએ કરી જાહેરાત
નરેન્દ્ર મોદી
ભારત-બ્રિટન મુક્ત વેપાર-કરાર પર સંમત થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ કિંગડમ (UK)ના વડા પ્રધાન કીર સ્ટાર્મરને અભિનંદન આપતાં આ જાહેરાત કરી હતી. તેમણે આ ઘટનાને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી અને કહ્યું હતું કે ‘ભારત અને બ્રિટને એક મહત્ત્વાકાંક્ષી અને પરસ્પર ફાયદાકારક મુક્ત વેપાર-કરાર સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ કરાર ભાગીદારી અને રોકાણમાં વધારો કરશે અને રોજગાર-સર્જનને પણ પ્રોત્સાહન આપશે.’
UK ભારતનો મુખ્ય વેપાર-ભાગીદાર છે. બન્ને દેશ વચ્ચે માલ અને સેવાઓનો દ્વિપક્ષીય વેપાર હાલમાં પચાસ અબજ અમેરિકન ડૉલરથી વધુ છે. વેપાર-કરાર સાથે આગામી વર્ષોમાં એમાં અનેકગણો વધારો થવાની અપેક્ષા છે.
ADVERTISEMENT
પ્રારંભિક માહિતી અનુસાર આ સોદા હેઠળ ભારત UKની ૯૦ ટકા આયાત પર ટૅરિફ ઘટાડશે, જેમાં ૮૫ ટકા આયાત એક દાયકાની અંદર સંપૂર્ણપણે ટૅરિફ-મુક્ત થઈ જશે. ભારત UKથી આયાત થતી વ્હિસ્કી અને જિન પરનો ટૅરિફ અડધો કરીને ૭૫ ટકા કરશે, ઑટો પરનો ટૅરિફ ઘટાડીને ૧૦ ટકા કરશે.
NSEના વાર્ષિક ચોખ્ખા નફામાં ૪૭ ટકા અને કુલ આવકમાં ૧૭ ટકાની વૃદ્ધિ થઈ : શૅરદીઠ ૩૫ રૂપિયાનું ડિવિડન્ડ મળશે
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના ૨૦૨૫ની ૩૧ માર્ચે પૂરા થયેલા વર્ષના અંતે કન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો ૪૭ ટકા વધીને ૧૨,૧૮૮ કરોડ રૂપિયા અને શૅરદીઠ આવક ગયા વર્ષના ૩૩.૫૬ રૂપિયા (બોનસ ઇશ્યુ બાદ)થી વધીને ૪૯.૨૪ રૂપિયા થઈ છે. કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે શૅરદીઠ ૩૫ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં NSEએ ૫૯,૭૯૮ કરોડ રૂપિયા કરરૂપે રાષ્ટ્રની તિજોરીમાં જમા કરાવ્યા છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫ના ચોથા ત્રિમાસિક ગાળાની કન્સોલિડેટેડ (એકત્રિત) આવક ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના ૫૦૮૦ કરોડ રૂપિયાની તુલનાએ ઘટીને ૪૩૯૭ કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો ૩૮૩૪ કરોડ રૂપિયાથી ૩૧ ટકા ઘટીને ૨૬૫૦ કરોડ રૂપિયા થયો છે. કાર્યકારી નફો ૧૮ ટકા ઘટીને ૨૭૯૯ કરોડ રૂપિયા થયો છે. કુલ ખર્ચ ચાર ટકા વધીને ૧૧૨૪ કરોડ રૂપિયા થયો છે. કામકાજની આવક ૧૪ ટકા ઘટીને ૩૩૯૫ કરોડ રૂપિયાની થઈ છે.
LoC પાસે સરહદ પાર કરતો પાકિસ્તાની ઝડપાઈ ગયો, સેનાએ હાથ ધરી તપાસ
ભારતીય સેનાએ મંગળવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના પૂંછ વિસ્તારમાં LoC (લાઇન ઑફ કન્ટ્રોલ) પાસેથી એક પાકિસ્તાની શંકાસ્પદની ધરપકડ કરી હતી. પહલગામ હુમલાની સાઇટની આસપાસ બૂલેટપ્રૂફ જૅકેટનું કવર પહેરેલું હોવાથી તેના પર શંકા ગઈ હતી. સુરક્ષા દળોએ તેની પૂછપરછ કરી હતી. શંકાસ્પદ વ્યક્તિ સરહદ પાર કરતી હતી એ સમયે જ સેનાએ તેને ઝડપી પાડી હતી. જોકે હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ વ્યક્તિ સરહદ પાર કરીને આવી હતી કે પછી કોઈ આયોજિત ઘૂસણખોરીનો ઇરાદો હતો. આ ઘટના બાદ LoC પર સતર્કતા વધારી દેવામાં આવી છે જેથી કોઈ પણ પ્રકારની ઘૂસણખોરીને રોકી શકાય.

