તામિલનાડુમાં ફટાકડાની ફૅક્ટરીમાં વિસ્ફોટ, ૧૨નાં મૃત્યુ
તામિલનાડુના સત્તુર નજીક ફટાકડા બનાવવાની એક ફૅક્ટરીમાં શુક્રવારે વિસ્ફોટ થતાં ૧૨ મજૂરોનાં મોત નીપજ્યાં હતાં અને ૩૬ લોકો ઈજા પામ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અચ્છનકુલમ ગામના એકમમાં ફટાકડા બનાવવા માટે કેટલાંક રસાયણોનું મિશ્રણ તૈયાર કરતી વખતે આ ધડાકો થયો હતો. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તામિલનાડુના મુખ્ય પ્રાન કે. પલાનીસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત અને કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ આ દુર્ઘટનાના પીડિતો પ્રત્યે શોક પ્રગટ કર્યો હતો.
મોદી અને પલાનીસ્વામીએ પ્રત્યેક મૃત્યુ પામનારના સ્વજનોને વડા પ્રધાનના રિલીફ ફન્ડમાંથી બે લાખ અને મુખ્ય પ્રધાનના પબ્લિક રિલીફ ફન્ડમાંથી ત્રણ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
વિસ્ફોટ થતાં ફૅક્ટરીના બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ઘણા લોકો એમાં દાઝી ગયા હતા.
પલાનીસ્વામીએ જણાવ્યું હતું કે તમામ ૧૧ મજૂરોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. તેમણે આ દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને કાનૂની કાર્યવાહીની ખાતરી આપી છે.