નરેન્દ્ર મોદીએ સંસદમાં વાજપેયીની વાત યાદ કરીઃ વડા પ્રધાને જૂની સંસદના છેલ્લા સંબોધનમાં કલમ ૩૭૦, જીએસટી, G20ની સફળતા અને વન રૅન્ક વન પેન્શન જેવા મહત્ત્વના બિલની વાતો યાદ કરી

પીએમ નરેન્દ્ર મોદી
નવી દિલ્હી (પી.ટી.આઇ): જૂના સંસદભવનને વિદાય આપતાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નેહરુ સહિત લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, પી. વી. નરસિંહ રાવ અને અટલ બિહારી વાજપેયીને યાદ કર્યાં હતાં, તો લોકસભામાં મનમોહન સિંહની સરકાર વખતે ‘કૅશ ફૉર વોટ’ કૌભાંડ પણ યાદ કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે અમારા કાર્યકાળ દરમ્યાન કલમ ૩૭૦ને હટાવવામાં આવી, જીએસટીનું બિલ પાસ થયું. વન રૅન્ક વન પેન્શન અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેનું બિલ પણ કોઈ પણ જાતના વિવાદ વગર પાસ થયું હતું. આ સિવાય તેમણે G-20ની સફળતાની વાત પણ કરી હતી.
લોકસભામાં ચર્ચા કરતી વખતે સંસદના ૭૫ વર્ષના ઇતિહાસની શરૂઆત સંવિધાન સભાથી કરી, સફળતાઓ, અનુભવો અને યાદો-શિખામણો દર્શાવી પીએમ મોદીએ જણાવ્યુ હતું કે વાજપેયીના સમયે ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢની રચના બાદ ઉજવણીઓ થઈ. જોકે તેલંગણના આંધ્ર પ્રદેશથી છૂટા પડતા સમયે માત્ર કળવાશ અને લોહી વહ્યું હતું. આ સાચે જ એક સંવેદનશીલ ક્ષણ છે, જ્યારે આ ઇમારતને વિદાય આપવી પડે છે. આ ઇમારત છોડી રહ્યા છે ત્યારે બધાનાં મન સંવેદનાઓ અને યાદોથી ભરાઈ ગયાં છે. તેમની બાવન મિનિટની સ્પિચમાં પીએમ મોદીએ ભગતસિંહ અને બતુકેશ્વર દત્તની બહાદુરીને યાદ કરી હતી, જેમણે બહેરા અંગ્રેજોને સંભળાવવા માટે આજ સંસદભવનમાં બૉમ્બ ફોડી બ્રિટિશ એમ્પાયરને જગાડ્યું હતું. આ બૉમ્બનો પડઘો હજી પણ તે લોકોને સૂવા નથી દેતો જેઓ આ દેશનું હરહંમેશ ભલું ઇચ્છે છે. પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને યાદ કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે પંડિત નેહરુએ આજ ભવનમાં તેમનું પ્રખ્યાત ભાષણ ‘સ્ટ્રોક ઑફ મિડ-નાઇટ અવર’ આપીને પોતાના શબ્દોથી લોકોને પ્રેરણા પૂરી પાડી હતી.
અટલ બિહારી વાયજપેયીને યાદ કરતાં તેમણે જણાવ્યું કે આજ સદનમાં અટલજીના શબ્દો હતા કે ‘સરકારો આવશે, જશે, પાર્ટીઓ બનશે, તૂટશે; પણ આ દેશ રહેવો જોઈએ’ જેનો પડઘો આજે પણ સંભળાય છે. વડા પ્રધાને કહ્યું કે આ ૭૫ વર્ષની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે સંસદમાં સામાન્ય વ્યક્તિનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. અમે નવા બિલ્ડિંગમાં જવાના છે, પરંતુ આ જૂની ઇમારત હંમેશાં આવનારી પેઢીઓને પ્રેરણા આપશે.