રાંચીમાં કોરોના સંક્રમિતોને લેવા પહોંચેલી ટીમ પર પથ્થરો-ઇંટોથી હુમલો
વિરોધીઓ
ઝારખંડમાં કોરોના વાઇરસના સંક્રમણને લઈને હૉટ-સ્પૉટ બનેલા પાટનગર રાંચીના હિંદપીઢી વિસ્તારના લોકોએ કોરોના વોરિયર્સ પર પથ્થર અને ઇંટો વરસાવી. મળતી જાણકારી મુજબ આ વિસ્તારમાં ત્રણ લોકો કોરોના પૉઝિટિવ હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ ૧૩ એપ્રિલની રાત્રે સ્વાસ્થ્ય વિભાગની ટીમ હિંદપીઢી ગઈ. આ દરમ્યાન તેમની સાથે સુરક્ષા માટે પોલીસ ટીમ પણ હાજર હતી. આ ટીમને સ્થાનિક લોકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. સૂત્રો મુજબ કુર્બાન ચોકના લોકોએ લાઇટ બંધ કરીને કોરોના સંક્રમિતોને હૉસ્પિટલ લઈ જવા માટે આવેલી ટીમ પર હુમલો કર્યો. આક્રોશિત લોકોનું કહેવું હતું કે અડધી રાત્રે કોરોના પીડિતોને લઈ જવું યોગ્ય નથી, તેના માટે કોઈ સમય નિર્ધારિત થવો જોઈએ.
મૂળે, કોરોના સંદિગ્ધોને લેવા ગયેલી ચાર ઍમ્બ્યુલન્સ અને તેની સુરક્ષામાં અનેક પીસીઆર વૅન અને સ્વાસ્થ્યકર્મીઓ પર ઇંટ-પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો. એક ઍમ્બ્યુલન્સને તોડી દેવામાં આવી. હિંદપીઢીના લોકોનું આક્રમણ વલણ જોઈ ઍમ્બ્યુલન્સ ડ્રાઇવર અનિલે પોલીસ સ્ટેશનમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો. બીજી તરફ પોલીસ દળને પણ પાછીપાની કરવી પડી.
ADVERTISEMENT
કોરોનાના દરદીઓની વધતી સંખ્યાને કારણે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર હિંદપીઢીને સીલ કરી દેવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ અને નગર નિગમની ટીમ દિવસ-રાત હિંદપીઢીને કોરોના મુક્ત કરવા અને સ્વાસ્થ્ય સેવાઓને ઉપલબ્ધ કરાવવામાં લાગી છે, પરંતુ આ દરમ્યાન સ્વાસ્થ્યકર્મીઓની સાથે અભદ્રતાની અનેક ઘટનાઓ બની રહી છે.