૫૦ને ઇજાથી પરિસ્થિતિ હજી તંગ: બંને રાજ્યના ઘર્ષણ વચ્ચે અંતે અમિત શાહની દરમ્યાનગીરી
અમિત શાહ
આસામ-મિઝોરમ સરહદ પર સોમવારે હિંસા ભડકી છે. સરહદ પર ઘર્ષણ અને વાહનો પર હુમલો થવાના સમાચાર છે. બન્ને રાજ્યના મુખ્ય પ્રધાનોએ આ મુદ્દે ટ્વીટ કરીને બે દિવસ પહેલાં જ ઉત્તર-પૂર્વનાં રાજ્યોની મુલાકાત લેનાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી અને આસામના છ પોલીસનાં આ હિંસામાં મોત થયા પછી અમિત શાહે બંને રાજ્ય વચ્ચે દરમ્યાનગીરી કરી કરી હતી. આ ઘટનાનો એક વિડિયો સામે આવ્યો છે, જેમાં લોકો લાકડીઓ લઈને જોવા મળી રહ્યા છે. હાલના તણાવે દાયકાઓથી ચાલી રહેલા વિવાદને હવા આપી છે. એને લઈને રાજકારણ ગરમાયું છે. આસામના છ પોલીસના મૃત્યુ, ૫૦ને ઇજાથી પરિસ્થિતિ હજી તંગ થઈ છેઇ બન્ને પાડોશી રાજ્યો વચ્ચે સરહદ વિવાદ જૂનો છે.
મિઝોરમના મુખ્ય પ્રધાન ઝોરામથાંગાએ મામલામાં ટ્વીટમાં કહ્યું કે ‘આ હિંસા તત્કાળ રોકવી જોઈએ. ચાહરના રસ્તે મિઝોરમ આવતા નિર્દોષ દંપતી પર ગુંડાએ હુમલો કર્યો અને તેની ગાડીમાં તોડફોડ કરી છે. આખરે આ પ્રકારની હિંસક ઘટનાઓને તમે કઈ રીતે ન્યાયયોગ્ય ઠેરવશો?’
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વ સરમાએ ટ્વીટ કરી મિઝોરમના મુખ્ય પ્રધાનને ફરિયાદ કરી આ મામલામાં દખલની અપીલ કરી છે. તેમણે કહ્યું ‘આદરણીય ઝોરામથાંગાજી... કોલાસિબ (મિઝોરમ) એસપીએ અમને અમારી પોસ્ટથી ત્યાં સુધી હટવાનું કહ્યું છે જ્યાં સુધી તેના નાગરિક વાત નથી સાંભળતા અને હિંસા નથી રોકાતી. તમે જણાવો, આવી પરિસ્થિતિમાં આપણે કઈ રીતે સરકાર ચલાવી શકીએ. મને આશા છે કે તમે જલદી આ મામલામાં દખલ દેશો.’
આસામના મુખ્ય પ્રધાન સરમાને ટ્વીટ કરીને ઝોરામથાંગાએ જવાબ આપ્યો અને આસામ પોલીસ પર સવાલ ઉઠાવતાં લખ્યું, ‘પ્રિય હિમંતાજી, માનનીય અમિત શાહજી તરફથી મુખ્ય પ્રધાનોની શાંતિપૂર્ણ બેઠક બાદ આશ્ચર્યજનક રૂપથી આસામ પોલીસની બે કંપનીઓએ નાગરિકો પર લાઠીચાર્જ કર્યો. એટલું જ નહીં, આસામ પોલીસે નાગરિકો પર ટિયર ગૅસના સેલ છોડ્યા.