મુંબઈ પોલીસ આ બાબતની તપાસ કરશે એવી જાહેરાત રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલે ગઈ કાલે કરી
આર્યન ખાન સહિતના આરોપીઓ સામે કરવામાં આવેલો કેસ ફેક હતો?
કાર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્ઝ કેસમાં આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચા સામે કોઈ સકારાત્મક પુરાવા ન હોવાના બૉમ્બે હાઈ કોર્ટના તાજેતરના આદેશને પગલે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલે કહ્યું હતું કે આર્યન ખાન સામે એનસીબી દ્વારા દાખલ કરવામાં આવેલો કેસ ‘બનાવટી’ હતો કે કેમ એની મુંબઈ પોલીસ તપાસ ચલાવશે.
શાહરુખ ખાનનો પુત્ર, તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાએ નાર્કોટિક્સ ડ્રગ્ઝ ઍન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સિઝ ઍક્ટ હેઠળ કોઈ ગુનો આચરવા ષડ્યંત્ર રચ્યું હોવાનો કોઈ ‘પુરાવો’ જોવા મળતો નથી, એમ બૉમ્બે હાઈ કોર્ટના આદેશમાં જણાવવામાં આવ્યું હતું.
એનસીબીએ દલીલ કરી હતી કે આરોપીઓએ તેમની પાસે ડ્રગ્ઝ હોવાની અને એના સેવનની કબૂલાત કરી હતી અને આવી કબૂલાત એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો બને છે.
જોકે, અદાલતે સ્પષ્ટતા કરી હતી કે તપાસકર્તા સંસ્થા માત્ર તપાસના હેતુ માટે આવા કબૂલાતના નિવેદનને ધ્યાન પર લઈ શકે, આરોપીઓએ એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો આચર્યો હોવાનું અનુમાન બાંધવાના સાધન તરીકે એનો ઉપયોગ કરી શકાય નહીં.