ઉદ્ઘાટનના અમુક મહિનામાં જ છતમાંથી પાણી ટપકતું જોઈને લોકોએ ૧૯,૬૫૦ કરોડ રૂપિયા એળે ગયા હોવાની પ્રતિક્રિયા આપી હતી.
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટની છતમાંથી પાણી લીક થતું હોવાનો દાવો કરતો એક વિડિયો વાઇરલ થયો હતો. એમ પણ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ ઍરપોર્ટની મુંબઈ સાથે કનેક્ટિવિટીથી લોકો વધારે ખુશ નથી જણાઈ રહ્યા ત્યારે ઉદ્ઘાટનના અમુક મહિનામાં જ છતમાંથી પાણી ટપકતું જોઈને લોકોએ ૧૯,૬૫૦ કરોડ રૂપિયા એળે ગયા હોવાની પ્રતિક્રિયા આપી હતી.
જોકે નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ દ્વારા આ અંગે તાત્કાલિક સ્પષ્ટતા આપવામાં આવી હતી. નિવેદનમાં જણાવાયું હતું કે ટર્મિનલ બિલ્ડિંગની અંદર બૅગેજ બેલ્ટ પાંચ અને છની નજીક છતમાંથી પાણી ટપકતું દેખાય છે એ કોઈ ઇન્ફ્રાસ્ટ્રકચરની ખામી નહીં પણ ઍર-કન્ડિશનર (AC)ના ડક્ટમાંથી લીક થતું પાણી છે જેને ૩૦ મિનિટમાં રિપેર કરવામાં આવ્યું હતું. ૧૭ જૂને બપોરે આ બનાવ બન્યો હતો, જેને કારણે બૅગેજ બેલ્ટ પાંચ અને ૬ બંધ કરવામાં આવ્યા હતા, જેને ૧૮ જૂનથી ફરી કાર્યરત કરવામાં આવ્યા છે.
