આ બનાવમાં પોલીસે મરનાર મહિલાના પતિ અને પુત્ર સહિત ૧૫ ગામવાસીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લાના એટાપલ્લી તાલુકાના બરસેવાડા ગામમાં બ્લૅક મૅજિક કરવાની શંકામાં એક મહિલા અને એક પુરુષને જીવતાં સળગાવી દેવાની ચોંકાવનારી ઘટના બની છે. આ બનાવમાં પોલીસે મરનાર મહિલાના પતિ અને પુત્ર સહિત ૧૫ ગામવાસીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. આદિવાસીઓના આ ગામની પહેલી મેની આ ઘટનામાં ગામવાસીઓએ પહેલાં જામની તેલામી નામની મહિલા અને દેશુ અટલામી નામના પુરુષને તેમના ઘરમાંથી ખેંચી કાઢ્યાં હતાં અને બન્નેની ત્રણ કલાક સુધી મારપીટ કરવામાં આવી હતી. બાદમાં તેમને જીવતાં સળગાવી દીધાં હતાં. એ પછી ગામવાસીઓએ બન્નેના અડધા સળગેલા મૃતદેહ નાળામાં ફેંકી દીધા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે મરનારાઓએ જાદુટોણા કરીને આરોહી નામની ત્રણ વર્ષની એક બાળકીને મારી નાખી હોવાની શંકા જતાં પંચાયત બોલાવવામાં આવી હતી. પંચાયતમાં જેમના પર જાદુટોણાની શંકા હતી તેમને મોતની સજા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આથી બુધવારે સાંજે ૬ વાગ્યે ગામવાસીઓએ ખૂબ જ ક્રૂરતાથી આ હત્યા કરી હતી.