લંપટ જ્યોતિષી સામે હવે શિર્ડીની મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી, કુલ કેસ ૭ થયા
અશોક ખરાત
શિર્ડીની એક અપરિણીત મહિલા દ્વારા બળાત્કારની ફરિયાદ બાદ ગઈ કાલે નાશિકના લંપટ જ્યોતિષી અશોક ખરાત વિરુદ્ધ નવો ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે. નવા FIR સાથે હવે અશોક ખરાત સામે નોંધાયેલા ક્રિમિનલ કેસની કુલ સંખ્યા ૭ થઈ ગઈ છે.
પોલીસ-અધિકારીઓએ જણાવ્યા મુજબ શિર્હીની મહિલાએ તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો કે અશોક ખરાતે ૨૦૨૪ના જુલાઈ અને ડિસેમ્બર વચ્ચે ચાર વખત તેના પર બળાત્કાર કર્યો હતો. તેની પાસે દૈવી શક્તિ છે એટલે જો આ બનાવની જાણ કોઈને કરશે તો તેનાં માતાપિતાને મારી નાખશે એવી ધમકી પણ આપી હતી.
ADVERTISEMENT
મૅનેજમેન્ટ ગ્રૅજ્યુએટ મહિલા નોકરી મેળવવાના ઉપાય માટે તેનાં મમ્મી-પપ્પા સાથે અશોક ખરાત પાસે ગઈ હતી. ત્યારે મમ્મી-પપ્પાને બહાર બેસાડી મહિલાને બેભાન કરી તેના પર બળાત્કાર કર્યો હતો. ત્યાર બાદ ધમકી આપીને વારંવાર તેના પર બળાત્કાર કર્યો હતો. મહિલાએ જણાવ્યું કે ડિસેમ્બરમાં તેને વૉટ્સઍપ પર એક અજાણ્યા નંબર પરથી અશોક ખરાત અને તેનાં અશ્લીલ દૃશ્યો દર્શાવતો એક વિડિયો મળ્યો. વિડિયો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ હતો. ત્યારે તેણે શિર્ડી પોલીસને ફરિયાદ નોંધાવી હતી પણ તેના પર થયેલા બળાત્કારની જાણ કરી નહોતી. અશોક ખરાતની લીલાઓ બહાર આવતાં યુવતીએ હવે તેની સામે FIR નોંધાવ્યો છે.
