બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને એને જાણ કર્યા વિના કોરોનાના દરદીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરો તથા સંબંધિત વૉર્ડ-વૉર રૂમ સામે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઇ : બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને એને જાણ કર્યા વિના કોરોનાના દરદીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરો તથા સંબંધિત વૉર્ડ-વૉર રૂમ સામે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. કૉર્પોરેશને ડૉક્ટરોને ચેતવણી આપતાં કહ્યું છે કે જો તમે કોઈ દરદીને લક્ષણ હોય છતાં ટેસ્ટ ન કરાવવાની સલાહ આપીને ટ્રીટમેન્ટ કરશો તો તમારી ખિલાફ ઍક્શન લેવામાં આવશે. કૉર્પોરેશનના અધિકારીઓના મતે ઘણી વ્યક્તિઓ ટેસ્ટ કરાવતા અને નિયમોનું પાલન કરતા ખચકાય છે. કેસમાં થઈ રહેલા વધારાને પગલે આવી ઉદાસીનતા તેમના આરોગ્ય માટે જોખમી નીવડશે. ઓછાં ગંભીર લક્ષણો ધરાવતા ઘણા લોકો આરટી-પીસીઆર કરાવવાને બદલે ઘરેથી સેલ્ફ-ટેસ્ટ કિટ્સનો આશરો લે છે અને રિઝલ્ટ પૉઝિટિવ આવે તો પણ કૉર્પોરેશનના વૉર્ડ-વૉર રૂમ્સને કે સુધરાઈના સિનિયર અધિકારીને જણાવતા નથી કે ડૉક્ટરને સુધ્ધાં જાણ કરતા નથી. ટેસ્ટ કરાવવા પ્રત્યેની આ બેપરવાઈ કોરોના પૉઝિટિવ વ્યક્તિને તેમ જ બીજા લોકોને વધુ નુકસાન પહોંચાડી શકે છે. અમને અપેક્ષા છે કે ખાનગી ડૉક્ટરો આ મામલે અમને સહાય કરે. ડેલ્ટા વેરિઅન્ટના સંક્રમણથી તબિયત લથડી શકે છે ત્યારે અમે નાગરિકોને હોમ ટેસ્ટ કિટ્સ પર નિર્ભર ન રહેતાં રિઝલ્ટ પૉઝિટિવ આવે તો કૉર્પોરેશનને જાણ કરવાની વિનંતી કરીએ છીએ.’