છેલ્લાં ૩૦ વર્ષથી થઈ રહેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તેમની ક્રીએટિવિટી ખીલવવાનો અને આ બાળકોને પ્રોત્સાહન આપવાનો છે
સ્કૂલોનાં બાળકો
જુહુ બીચ પર ગઈ કાલે જાયન્ટ્સ ગ્રુપ ઑફ જુહુ દ્વારા ઑટિઝમ, સેરિબ્રલ પોલ્ઝી, ડાઉન સિન્ડ્રૉમ જેવા માનસિક રોગ ધરાવતાં ૯૦ બાળકોને ભેગાં કરવામાં આવ્યાં હતાં, જેમણે બીચની રેતીમાં મહેલ સમા ટીલા બનાવ્યા હતા. છેલ્લાં ૩૦ વર્ષથી થઈ રહેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તેમની ક્રીએટિવિટી ખીલવવાનો અને આ બાળકોને પ્રોત્સાહન આપવાનો છે
મુંબઈની અલગ-અલગ સ્પેશ્યલ સ્કૂલોમાં ભણતાં બાળકો માટે જુહુ બીચ પર જાયન્ટ્સ ગ્રુપ ઑફ જુહુ દ્વારા ગઈ કાલે ‘એક મહલ હો રેત કા’ નામના કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં મુંબઈની કુલ ૯ સ્પેશ્યલ બાળકોને ભણાવતી સંસ્થાઓનાં ૯૦ બાળકોએ ભાગ લીધો હતો. ઑટિઝમ, ડાઉન સિન્ડ્રૉમ, સેરિબ્રલ પોલ્ઝી જેવી માનસિક તકલીફ ધરાવતાં સ્પેશ્યલ બાળકોએ મળીને જુહુના દરિયાકિનારે તેમના પ્રયત્નો દ્વારા તેમના સપનાના મહેલ સમા ટીલાઓ બનાવ્યા હતા.
ADVERTISEMENT
વિલે પાર્લે-વેસ્ટમાં આવેલી કલ્યાણદીપ સ્કૂલ અને એ જ એરિયાની મ્યુનિસિપલ સ્કૂલ મણિલાલ સુંદરજીની દિવ્યાંગ શાળા, લાયન્સ ક્લબ સંચાલિત જુહુ સેન્ટરની સ્પેશ્યલ સ્કૂલ, ગોરેગામની પુનર્વાસ સ્કૂલ, ચેમ્બુર અને નવી મુંબઈમાં આવેલી સ્વયંસિદ્ધા સ્કૂલ, મુંબઈ સેન્ટ્રલમાં આવેલી ઑટિઝમ ધરાવતાં બાળકોની ઑટિઝમ ડાયનૅમિક ઇન્સ્ટિટ્યૂટ, ખાર દાંડામાં આવેલી SEC ડે સ્કૂલ, કાલિનામાં આવેલી સેરિબ્રલ પૉલ્ઝી અસોસિએશન ઑફ ઇન્ડિયા અને વિલે પાર્લે-ઈસ્ટમાં આવેલી દેવાંચન એજ્યુકેશન ટ્રસ્ટની શાળાએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દરેક શાળાનાં માનસિક રીતે દિવ્યાંગ બાળકો તથા તેમના શિક્ષકો અને કેટલાક વાલીઓએ ભેગા મળીને સુંદર કલાત્મક ટીલાઓનું નિર્માણ કર્યું હતું.
છેલ્લાં ૩૦ વર્ષથી સ્પેશ્યલ બાળકો માટે આ પ્રોગ્રામનું આયોજન થઈ રહ્યું છે જેની પાછળનો હેતુ જણાવતાં જાયન્ટ્સ ગ્રુપ ઑફ જુહુના ડિરેક્ટર બકુલ શાહ કહે છે, ‘આ સ્પેશ્યલ બાળકોના હસતા ચહેરા દર વર્ષે જોઈ શકાય એ માટે અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. આ બાળકોનાં પણ પોતાનાં સપનાં છે. તેમની પોતાની કલ્પનાઓ છે એને એક આકાર મળે છે. માટીની અંદર રમવાથી, એમાંથી કાંઈ પણ બનાવવાથી તેમની ફાઇન મોટર સ્કિલને પણ ઘણો ફાયદો થાય છે. તેમને થોડું પ્રોત્સાહન આપી શકીએ એ પણ અમારા માટે મોટી બાબત છે.’
જાયન્ટ્સ ગ્રુપ ઑફ જુહુના પેરન્ટ ગ્રુપમાં લગભગ ૬૦ જેટલા મેમ્બર્સ છે. એના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અનુપ શાહ કહે છે, ‘છેલ્લાં ૫૧ વર્ષથી ચાલતી અમારી સંસ્થા ગરીબ બાળકોના ભણતર માટે પણ કાર્યરત છે. ઝૂંપડપટ્ટીમાં રહેતાં લગભગ ૫૦ જેટલાં બાળકોને અમે ફ્રી એજ્યુકેશન આપી રહ્યા છીએ. એ સિવાય જોઈ ન શકતાં બાળકોની સ્કૂલોમાં અમે તેમને જરૂરી સામાનમાં બ્રેઇલનાં પુસ્તકો અને સ્ટિક વગેરે પણ પ્રોવાઇડ કરીએ છીએ. પ્લાસ્ટિક રીસાઇક્લિંગ જેવા પર્યાવરણ સંબંધિત પ્રોજેક્ટ પર પણ અમે સઘન કાર્ય કરી રહ્યા છીએ અને કૅન્સરના દરદીઓની પણ યથાશક્તિ મદદ કરી રહ્યા છીએ. એ સિવાય જુહુ, વિલે પાર્લે, સાંતાક્રુઝ અને અંધેરીમાં લગભગ ૯૦ જેટલી દવાની દુકાનોએ અમે અમારું બૉક્સ રાખ્યું છે જ્યાં એક્સ્પાયર ન થયેલી વધેલી દવાઓ એકઠી થાય છે અને ત્યાંથી જરૂરિયાતમંદ લોકોમાં એ વહેંચવાનું કામ કરીએ છીએ.’
આ પ્રસંગે જાયન્ટ્સ ફેડરેશન, મુંબઈનાં પ્રેસિડન્ટ પૂનમ રાવલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સ્વ. રતિલાલ પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલા આ સમાજસેવી સંસ્થાનાં ટ્રસ્ટી અને રતિલાલભાઈનાં ધર્મપત્ની સમાપ્તિબહેન કહે છે, ‘આ સંસ્થામાં હાલમાં ઘણા સિનિયર સિટિઝનો જોડાયેલા છે. અમારા બધાનું લક્ષ્ય એ છે કે અમે અમારા સમાજને કોઈ ને કોઈ રીતે મદદરૂપ થઈ શકીએ. અમારું એક યંગ ડિવિઝન પણ છે. પેરન્ટ બૉડીમાં વર્ષોથી જોડાયેલા લોકો અત્યંત સેવાભાવી છે અને પોતાની વૃદ્ધાવસ્થામાં પણ પોતે સમાજ માટે શું કરી શકે છે એ માટે તત્પર રહે છે.’

