મુંબઈનાં ખુલ્લાં મેદાનો બચાવવા માટે શિવસેના (UBT) મેદાનમાં, આદિત્ય ઠાકરેનો મુખ્ય પ્રધાન પર પ્રહાર
રવિવારે બાંદરામાં નેવિલ ડિસોઝા ફુટબૉલ ગ્રાઉન્ડને બચાવવા માટે ફુટબૉલ ખેલાડીઓ અને મુંબઈ ફુટબૉલ અસોસિએશને શિવસેના-UBTના આદિત્ય ઠાકરે દ્વારા આયોજિત તિરંગા આંદોલનમાં ભાગ લીધો હતો. તસવીર : શાદાબ ખાન
મુંબઈમાં આવેલાં રમતગમતનાં ખુલ્લાં મેદાનો અને મનોરંજનનાં સ્થળોની જાળવણી માટે શિવસેના (UBT) દ્વારા મુંબઈનાં ખુલ્લાં મેદાનો બચાવો આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત બાંદરાસ્થિત નેવિલ ડિસોઝા ફુટબૉલ ગ્રાઉન્ડનું રિઝર્વેશન બદલવાના વિરોધમાં આદિત્ય ઠાકરેની ઉપસ્થિતિમાં તિરંગા આંદોલન યોજાયું હતું.
આ પ્રસંગે આદિત્ય ઠાકરેએ રાજ્યના મુખ્ય પ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જેન-ઝીને સ્ક્રીન છોડીને મેદાન પર સમય વિતાવવાની સલાહ આપી છે, પરંતુ સવાલ એ છે કે તમે બાળકો માટે મેદાનો બચાવ્યાં જ ક્યાં છે? આદિત્ય ઠાકરેએ વધુમાં ઉમેર્યું હતું કે ‘મુંબઈનાં ખુલ્લાં મેદાનો, પ્લે-ગ્રાઉન્ડ્સ અને રેક્રીએશન ગ્રાઉન્ડ્સ મૂળ સ્વરૂપે સુરક્ષિત રહે અને અેના પર સિમેન્ટ-કૉન્ક્રીટનું અતિક્રમણ ન થાય અે માટે આ લડાઈ શરૂ કરવામાં આવી છે. છેલ્લાં ૪ વર્ષમાં મુંબઈનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે અને આ સમયગાળા દરમ્યાન ૧૭થી વધુ રમતગમતનાં મેદાનોને રહેણાક અથવા વ્યાપારી હેતુ માટે ફાળવી દેવામાં આવ્યાં છે. મુંબઈના ભવિષ્ય અને બાળકોના રમતગમતના હક માટે આ મેદાનોનું અસ્તિત્વ ટકાવી રાખવું અત્યંત જરૂરી હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું.
