કૉન્ગ્રેસની આંતરિક સંસ્કૃતિને કારણે શરદ પવાર પીએમ ન બની શક્યા
એનસીપી સુપ્રીમો શરદ પવારના ૮૦મા જન્મદિવસની ઉજવણી ગઈ કાલે મુંબઈમાં કરાઈ હતી ત્યારે મહારાષ્ટ્રમાં શિવસેના, કૉન્ગ્રેસ અને એનસીપીના ગઠબંધનની મહાવિકાસ આઘાડી સરકારનો પાયો નાખનારા રાજ્યના આ મોટા નેતાને વડા પ્રધાન સહિતના મહાનુભાવોએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તસવીર : પી.ટી.આઇ.
એનસીપીના સુપ્રીમો શરદ પવારના ગઈ કાલે ૮૦મા જન્મદિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત અનેક રાજકીય નેતાઓ અને જાહેર ક્ષેત્રના મહાનુભાવોએ અભિનંદન અને શુભેચ્છાના સંદેશા આપ્યા હતા. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અન્ય નેતા પ્રફુલ પટેલે ૧૯૯૦ના દાયકામાં શરદ પવારને વડા પ્રધાનપદ હાથતાળી દઈ ગયું એ સમયને યાદ કર્યો હતો. પ્રફુલ પટેલે પવારને વડા પ્રધાનપદથી વંચિત રાખવા માટે કૉન્ગ્રેસની `આંતરિક સંસ્કૃતિ‘ને જવાબદાર ગણી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘શરદ પવારજીને જન્મદિને મબલક શુભેચ્છાઓ. તેમને સારું આરોગ્ય અને લાંબું આયુષ્ય બક્ષે એવી ઈશ્વરને પ્રાર્થના.’
ADVERTISEMENT
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટરની પોસ્ટમાં લખ્યું હતું કે ‘શ્રી શરદ પવારને જન્મદિને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.’
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુભેચ્છા સંદેશમાં શરદ પવારને મહાવિકાસ આઘાડીના આધારસ્તંભ તેમ જ વરિષ્ઠ નેતા અને માર્ગદર્શકરૂપે બિરદાવ્યા હતા.