હાલમાં મેડિકલ રિપોર્ટ્સ અને અન્ય પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે.
પ્લૅટફૉર્મ-નંબર ૬ પર ટ્રેનની નીચે મૃત્યુ પામેલા આધેડ.
ભાઈંદર રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૬ પર બુધવારે બપોરે ચાલતી ટ્રેન સામે ઝંપલાવીને આત્મહત્યા કરવાની ઘટનામાં એક મહત્ત્વનું અપડેટ સામે આવ્યું છે. પચાસ વર્ષના ગુજરાતી આધેડના આપઘાત પાછળનું કારણ તેમની ગંભીર બીમારી હોવાની માહિતી સામે આવી છે. વસઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ અને પરિવારના સભ્યોનાં નિવેદનોના આધારે નવી વિગતો પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતી આધેડ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ગંભીર શારીરિક વ્યાધિથી પીડાતા હતા. બીમારીઓને કારણે તેઓ અસહ્ય પીડા ભોગવી રહ્યા હતા, જેનાથી કંટાળીને તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાની પ્રબળ શક્યતા છે. બુધવારે સોશ્યલ મીડિયા પર આ ઘટનાનો વિડિયો અને ફોટો વાઇરલ થયા હતા.
વસઈ GRPના સિનિયર ઇન્સ્પેક્ટર ભગવાન ડાંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટના સમયે ખિસ્સામાંથી કોઈ સુસાઇડ-નોટ મળી નહોતી, પરંતુ મોબાઇલ દ્વારા ઓળખ થયા બાદ અમે ઊંડી તપાસ શરૂ કરી હતી.
ભાઈંદર-ઈસ્ટના ચંદનનગર વિસ્તારમાં રહેતા પરિવારે આપેલી વિગતો અનુસાર ગંભીર બીમારીને કારણે તેણે આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. હાલમાં મેડિકલ રિપોર્ટ્સ અને અન્ય પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે.’
