મેં પાંચ જણને ઠાર કર્યા છે... તમારા ઘર પર બૉમ્બ ફેંકીશ એવું થોડા દિવસ પહેલાં બોલનારા આ નેતા સામે સંજય રાઉતે પોલીસ-કમિશનર દેવેન ભારતીને પત્ર લખ્યો એ પછી શરૂ થયો વિવાદ
પહેલાં પત્રકારો પર ભડક્યા અને પછી માફી માગી.
મેં પાંચ જણને ઠાર કર્યા છે... તમારા ઘર પર બૉમ્બ ફેંકીશ એવું થોડા દિવસ પહેલાં બોલનારા આ નેતા સામે સંજય રાઉતે પોલીસ-કમિશનર દેવેન ભારતીને પત્ર લખ્યો એ પછી શરૂ થયો વિવાદ ઃ પત્રકારોએ પ્રતિક્રિયા માગી એમાં પિત્તો ગુમાવ્યો સંસદસભ્યએ અને ગંદી ભાષા વાપરીને મારવાની ધમકી આપી ઃ દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને મળીને આવું નહીં ચાલે એવું કહ્યું એ પછી સંજય દીના પાટીલે માફી માગી
શિવસેના (UBT)ના રાજ્યસભાના સભ્ય અને નેતા સંજય રાઉતે સંજય દીના પાટીલને લઈને મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીને પત્ર લખીને તેમની સામે કાર્યવાહી કરવાની વિનંતી કરી એને પગલે ગઈ કાલે જબરદસ્ત વાદવિવાદ સર્જાયો હતો. આ પત્ર વિશે પત્રકારોએ સંજય દીના પાટીલની પ્રતિક્રિયા માગી એને પગલે તે જબરદસ્ત ઉશ્કેરાયા હતા અને પત્રકારોને ગાળો ભાંડી હતી. આ મામલો એટલો ચગી ગયો હતો કે દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે સાથે મીટિંગ કરીને કહેવું પડ્યું હતું કે આવું નહીં ચાલે. પરિણામે સાંજે સંજય દીના પાટીલે માફી માંગવી પડી હતી.
સંજય દીના પાટીલે શિવસેના (UBT)ના કાર્યકરોને અગાઉ ધમકી આપતાં કહ્યું હતું કે ‘મારા વાદે ન ચડતા... મે પાંચ લોકોને માર્યા છે... મારી સામે આંદોલન કરતાં પહેલાં જીવનવીમો કાઢી લેજો... હું તમને સીધા સ્મશાનમાં મોકલીશ, નહીં તો પછી હૉસ્પિટલમાં મોકલીશ.’
ADVERTISEMENT

સંજય રાઉતે પોલીસ કમિશનરને લખેલો પત્ર.
સંજય રાઉતે દેવેન ભારતીને પત્ર લખીને તપાસની માગણી કરતાં કહ્યું હતું કે ‘સંજય પાટીલે જાતે જ કબૂલાત કરતાં કહ્યું છે કે મેં આ પહેલાં પાંચ લોકોને માર્યા છે. તો એ પાંચ લોકો કોણ? તેમને સંજય પાટીલે ક્યારે અને કેવી રીતે અને શા માટે માર્યા એની તપાસ થવી જોઈએ. સંજય પાટીલ સામે આ બાબતે તત્કાળ ગુનો નોંધાવો જોઈએ.’
વળી સંજય પાટીલે એમ પણ કહ્યું હતું કે જો મારી સામે આંદોલન કર્યું તો તમારા ઘર પર બૉમ્બ નાખીશ, ઘરમાં ઘૂસીને મારીશ. એ વાતનો સંદર્ભ આપીને સંજય રાઉતે પોલીસ-કમિશનર દેવેન ભારતીને પત્રમાં કહ્યું છે કે ‘સંસદસભ્ય દ્વારા બૉમ્બ નાખવાની ધમકી ગંભીર છે. જો તેમણે પોતાના ઘરમાં બૉમ્બ બનાવ્યા હોય તો તેમના ઘરની તાત્કાલિક ઝડતી લેવી જોઈએ. એ માટે ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડની મદદ લેવી જોઈએ. આ બૉમ્બ તેમણે કોઈ આંતકવાદી ટોળકી પાસેથી મેળવ્યા હોય તો એ નૅશનલ સિક્યૉરિટીનો સવાલ ગણાવો જોઈએ. એથી એ આંતકવાદી, દેશવિરોધી કૃત્ય ગણાવું જોઈએ અને અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (UAPA) હેઠળ તેમની ધરપકડ થવી જોઈએ. તેમનાં બધાં જ નિવેદનો દહેશતવાદ, ગુનેગારી કૃત્યમાં સામેલ થયા હોવાના પુરાવા છે. એથી તેમની સામે તરત કાર્યવાહી કરવી. જો એમ ન થયું તો મારે લોકોની સુરક્ષા માટે કોર્ટમાં દાદ માગવી પડશે. હાલના સમયમાં જો એકાદ રાજકીય કાર્યકર પર હુમલો થાય અથવા તો તેનું ખૂન થાય તો એની બધી જવાબદારી સંજય પાટીલની રહેશે એ ખાસ ટાંકું છું.’
સંજય રાઉતના આ પત્ર વિશે ગઈ કાલે સંજય પાટીલને મળ્યા અને તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો ત્યારે સંજય પાટીલે તેમને ગાળો ભાંડી હતી અને કહ્યું હતું કે ‘કૅમેરા બંધ કરો, નહીં તો હું ભૂલી જઈશ કે હું સંસદસભ્ય છું. જો પાછા આવશો તો મારીને મોકલીશ. હું જે બોલું છું એ ખુલ્લેઆમ બોલું છું. મારા પર કાર્યવાહી કરવાની હશે તો પોલીસ કરશે. હું કાર્યવાહી માટે તૈયાર છું. તમે મારા મોઢામાં શું કામ માઇક ઠોસો છો. તમે પહેલાં ત્યાં શિવસેના (UBT)માં જઈને આવ્યા છો અને પછી આવ્યા છો. આવું શું કામ કરો છો?’
