યમુનોત્રીની યાત્રાએ ગયેલા મુંબઈના યાત્રાળુઓનાં બે ગ્રુપને ઘડીભર તો સ્વયં યમનાં દર્શન થશે એવું લાગ્યું હતું
યમુનોત્રીના હાઇવે પર ધસી પડેલી દીવાલ પછી રસ્તો ખોલવાનું કામ ગઈ કાલે પુરજોશમાં ચાલુ હતું.
મુંબઈ : બે વર્ષની ના-ના પછી આ વર્ષે પુરજોશમાં શરૂ થયેલી ચારધામની યાત્રા દરમ્યાન યમુનોત્રીનાં દર્શન કરવા જતા કે પાછા ફરી રહેલા યાત્રાળુઓ છેલ્લા ત્રણ દિવસથી પરેશાન થઈ રહ્યા છે. હજી તો ગુરુવારે ખૂલેલો યમુનોત્રી હાઇવે ગઈ કાલે ફરી દીવાલ ધસી પડતાં બંધ કરવો પડ્યો હતો. એમાંય ખાસ કરીને મુંબઈનાં બે ગ્રુપનો તો બાલ-બાલ બચાવ થયો હતો. કાફલાની પહેલી બસમાં એક ગ્રુપમાંના એક યાત્રાળુને વૉશરૂમ જવું પડ્યું હોવાથી રોકી એનાથી થોડેક જ દૂર સેફ્ટી વૉલ ધસી પડવાની ઘટના બની; જ્યારે બીજું ગ્રુપ બસ છોડીને નાના વાહનમાં પાછું ફરી રહ્યું હતું ત્યારે પથ્થર પડ્યા હતા, પણ તેઓ સહેજમાં બચી ગયા હતા. હા, પણ હાલાકી ભારે સહન કરવી પડી હતી. રસ્તો પૂરેપૂરો ચાલુ થવામાં કદાચ ત્રણ દિવસે નીકળી જાય.