ગિરગામમાં યોજાયેલી આ શોભાયાત્રામાં ચૂંટણીના મહત્ત્વથી લઈને મતદાનના અધિકાર વિશે જાગૃતિ ફેલાવવામાં આવી
શોભા યાત્રા
હિન્દુ નવા વર્ષ ગુઢી પાડવા નિમિત્તે ગિરગામમાં યોજાયેલી ભવ્ય શોભાયાત્રા દરમ્યાન કેસરી રંગ છવાઈ ગયો હતો અને અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું. ગુઢી પાડવાના દિવસે વિવિધ સામાજિક સંસ્થાઓ આપણી ભારતીય સંસ્કૃતિને બતાવવાનો પ્રયાસ કરતી હોવાથી ગિરગામની શોભાયાત્રા ભારતભરમાં પ્રખ્યાત છે. ગઈ કાલે વહેલી સવારે શરૂ થયેલી શોભાયાત્રા ફડકે ગણેશ મંદિર, સિક્કાનગર, ગિરગામ ચર્ચ, ઠાકુરદ્વાર નાકા, ચીરાબજાર વગેરે વિસ્તારોને આવરી લે છે. ગિરગામની નાની ગલીઓમાં પરંપરાગત મરાઠી પોશાકમાં સજ્જ હજારો લોકો અને બાળકો રસ્તા પર દેખાય છે. ઢોલ-તાશા, બાઇકરૅલી અને જય ભવાનીના નારા સાથે ગુઢી પાડવાને ઊજવવામાં આવે છે અને મુંબઈના જ નહીં, વિદેશથી આવેલા લોકો પણ એ જોવા આવ્યા હતા. જોકે આ વખતે શોભાયાત્રામાં ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો. એમાં અનેક ઝાંખીઓમાં મતદાન વિશે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.