પુણેના મોશીમાં કચરાના ઢગલામાં દબાયેલા લોકોમાંથી એકનું મૃત્યુ, હજી સાતથી ૮ લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની શક્યતા
કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવા ગુરુવારે પણ બચાવટીમોનું રેસ્ક્યુ ઑપરેશન ચાલુ હતું.
પુણે નજીક પિંપરી-ચિંચવડના મોશીના વેસ્ટ એનર્જી પ્લાન્ટ પર આવેલા ૩ માળના બિલ્ડિંગ પર કચરાનો ઢગ પડતાં બિલ્ડિંગ તૂટી પડ્યું એ ઘટનામાં ભાવેશ વાણીનું મૃત્યુ થયું હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી. ગુરુવારે સર્ચ ઍન્ડ રેસ્ક્યુ ઑપરેશન દરમ્યાન કાટમાળ હેઠળથી ભાવેશની ડેડબૉડી મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યા મુજબ મશીનથી કાટમાળ હટાવાય તો એ અસંતુલિત થવાથી નુકસાન થઈ શકે એમ હોવાથી હાથથી કાટમાળ હટાવીને એમાં દટાયેલા લોકોને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.
જોકે એમાં હજી સાતથી ૮ જણ ફસાયા હોવાની શક્યતા હોવાથી ઇન્ડિયન આર્મી, નૅશનલ ડિઝૅસ્ટર રિલીફ ફોર્સ (NDRF), ફાયર-બ્રિગેડ, પોલીસ સહિતની એજન્સીઓ સર્ચ ઍન્ડ રેસ્ક્યુ ઑપરેશન ચલાવી રહી છે.
૧૮ જણ દટાયા હતા
ઉલ્લેખનીય છે કે બુધવારે બપોરે બનેલી આ ઘટનામાં કાટમાળ હેઠળ લગભગ ૧૮ જણ દટાઈ ગયા હતા, જેમાંથી સાતથી ૮ જણની હજી પણ ભાળ મળી નથી. બુધવારે મધરાત બાદ વધુ બે જણને કાટમાળ નીચેથી બેશુદ્ધ અવસ્થામાં કાઢવામાં આવ્યા હતા. ઘટના બાદ કુલ ૨૩ જણ એમાં ફસાયેલા હોવાની શંકા હતી, જેમાંથી પાંચ જણ રેસ્ક્યુ ટીમ પહોંચે એ પહેલાં પોતે જ બચીને બહાર આવી ગયા હતા, જ્યારે અન્ય ૭ લોકોને પણ બચાવટીમોએ એ જ રાતે ઉગારી લીધા હતા.
ADVERTISEMENT
પહાડોમાં ભૂસ્ખલન અને મેદાની વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

ભારે વરસાદને કારણે ટિહરી ગઢવાલમાં કદ્દુખાલ પાસે નૅશનલ હાઇવે 707A પર ભૂસ્ખલનને કારણે એક નવી બંધાતી હોટેલ ધસી પડી હતી.
દેશભરમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થતાં સર્જાયેલી આકાશી આફતે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં સતત વરસાદને કારણે ભયાનક ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે, જેના લીધે અનેક રસ્તાઓ બંધ થતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. દિલ્હી ઉપરાંત ગુરુગ્રામ, ગાઝિયાબાદ, નોએડા અને આસપાસનાં તમામ મુખ્ય શહેરોમાં વરસાદના કારણે પાણી ભરાઈ જતાં ભારે ટ્રાફિક જૅમ, અનેક સ્થળોએ ખાડા પડવા, અનેક સ્થળોએ વૃક્ષો પડવાની ઘટનાઓ બનતાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું.
