Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલ્યાણ-ભિવંડીમાં અચાનક આવેલા વાવાઝોડાને કારણે જનજીવન ખોરવાયું

કલ્યાણ-ભિવંડીમાં અચાનક આવેલા વાવાઝોડાને કારણે જનજીવન ખોરવાયું

Published : 08 May, 2026 07:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધૂળની ડમરીઓ અને તોફાની પવનથી અનેક વૃક્ષો પડ્યાં, ઘરનાં છાપરાં ઊડ્યાં અને વાહનોને પણ નુકસાન

ત્રણ કલાકના ધૂળિયા તોફાન દરમ્યાન આખું આકાશ ધૂળથી ભરાઈ ગયું હતું.

ત્રણ કલાકના ધૂળિયા તોફાન દરમ્યાન આખું આકાશ ધૂળથી ભરાઈ ગયું હતું.


થાણે જિલ્લાના કલ્યાણ, ભિવંડી અને આસપાસના વિસ્તારોમાં ગુરુવારે બપોર બાદ હવામાનમાં અચાનક આવેલા પલટાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. તોફાની પવન, ગાજવીજ અને ધૂળની ડમરીઓને કારણે અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેને કારણે ડ્રાઇવરોએ અને રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અચાનક આવેલા તોફાનને કારણે મુખ્ય માર્ગો પર ધૂળનું સામ્રાજ્ય છવાઈ જતાં રસ્તા પર વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. પરિણામે કલ્યાણ અને ભિવંડીનાં અનેક જંક્શનો પર ટ્રાફિક જૅમનાં દૃશ્યો સર્જાયાં હતાં. પવનની ગતિ એટલી પ્રચંડ હતી કે અનેક રેસિડેન્શિયલ વિસ્તારોમાં ઘરનાં છાપરાં પરથી પતરાં ઊડી ગયાં હતાં અને કેટલાંક સ્થળોએ વૃક્ષોની ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની હતી. જોકે સદનસીબે સાંજ સુધી કોઈ મોટી જાનહાનિ થઈ નથી. ખરાબ હવામાનને કારણે રોડ પરના નાના ફેરિયાઓ અને દુકાનદારોના ધંધાને પણ માઠી અસર પહોંચી હતી. ઝાડની ડાળીઓ પડવાને કારણે કેટલીક કારના કાચ તૂટી ગયા હતા અને વાહનોને ભારે નુકસાન થયું હતું.



હવામાનમાં અચાનક ફેરફારને કારણે દિવા, ડોમ્બિવલી, કલ્યાણ, મુરબાડ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં સાંજે ૪ વાગ્યાની આસપાસ ધૂળના તોફાન જેવી સ્થિતિ સર્જાઈ હતી એટલે ૩ કલાક સુધી ઘરની બહાર ન નીકળવાની પ્રશાસને સૂચના આપી હતી. ગયા વર્ષે અને એના પહેલાંના વર્ષે પણ આવાં જ વાવાઝોડાં જોવા મળ્યાં હતાં. ઉનાળાની ઋતુમાં સતત ત્રીજા વર્ષે આવાં તોફાનો આવ્યાં છે. હવામાન વિભાગે અગાઉ મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં વાદળછાયું આકાશ અને કમોસમી વરસાદની આગાહી કરી હતી. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ આગાહીઓ સાચી પડી હતી.


વાવાઝોડું થાણે અને મુંબઈ તરફ આગળ વધ્યું હતું, પરંતુ થોડી વારમાં તોફાન શમી જતાં મુંબઈમાં વાવાઝોડાનો ખાસ અનુભવ થયો નહોતો.

મહારાષ્ટ્રમાં અનેક જિલ્લામાં વરસાદ અને કરા પડ્યા, ૨૪ કલાક યલો અલર્ટ યથાવત્


મહારાષ્ટ્રના બીડ, યવતમાળ સહિત અનેક જિલ્લાઓમાં ગઈ કાલે ભારે અને તોફાની વરસાદ પડ્યો હતો. યવતમાળનાં અનેક ગામોમાં માવઠા સાથે બરફના કરા પણ પડ્યા હતા. બીડમાં એક મહિલાનું ઝાડ પડવાને કારણે મૃત્યુ થયું હતું. હવામાન ખાતાની આગાહી મુજબ ૨૪ કલાક સુધી મહારાષ્ટ્રનાં ૧૦ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી છે તો નાગપુર, વર્ધા જેવા પાંચ જિલ્લાઓમાં ગરમી માટેની યલો અલર્ટ આપવામાં આવી છે. ૧૪ મેથી ૨૦ મે સુધી મહારાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મુંબઈમાં ગરમી યથાવત્ રહેશે, બે દિવસ યલો અલર્ટ

મુંબઈમાં ગઈ કાલે ગરમ અને ભેજવાળા વાતાવરણ સાથે સામાન્ય વરસાદ પડવાની આગાહી હતી. જોકે મુંબઈમાં વરસાદ તો નહોતો પડ્યો પણ મુંબઈગરાઓ પરસેવે રેબઝેબ થયા હતા. મુંબઈમાં તાપમાનનો પારો બે દિવસથી ૩૩ ડિગ્રી આસપાસ રહે છે, પણ ગરમી ૩૭ ડિગ્રી જેટલી અનુભવાય છે. આગામી બે દિવસ સુધી મુંબઈમાં ગરમી યથાવત્ રહેશે. સૂકા પવન સાથે મુંબઈ, થાણે અને પાલઘરમાં ગરમીની યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK