સુનેત્રા પવારના સ્થાને રાજ્યસભાની બેઠક માટે રાજેન્દ્ર જૈને ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે સાથે રહેલા છગન ભુજબળે કહ્યું કે હું નારાજ નથી
ગઈ કાલે રાજેન્દ્ર જૈને ઉમેદવારી નોંધાવી એ પછી મીડિયા સાથે વાત કરતા છગન ભુજબળ
સુનેત્રા પવારે રાજ્યસભાના પદ પરથી રાજીનામું આપ્યું ત્યાર બાદ તેમના સ્થાને કોને રાજ્યસભામાં સ્થાન અપાશે એની ચર્ચાને રવિવારે વિરામ મળ્યું હતું અને રાજેન્દ્ર જૈનના નામ પર મહોર લાગી હતી. જોકે એને કારણે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા છગન ભુજબળ નારાજ થયા હોવાનું કહેવાતું હતું. જોકે છગન ભુજબળે તેમને રાજ્યસભા માટે ઉમેદવારી ન મળતાં નારાજ ન હોવાની સ્પષ્ટતા કરી છે. તેમણે હળવા અંદાજમાં નિવેદન આપતાં કહ્યું હતું કે હું કબડ્ડી પ્લેયર છું, ચેસ પ્લેયર નહીં.
ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું પુણેમાં બારામતીમાં પ્લેન-ક્રૅશમાં મૃત્યુ થયું ત્યાર પછી તેમનાં પત્ની સુનેત્રા પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે પદભાર સંભાળ્યો હતો.
ADVERTISEMENT
સુનેત્રા પવારે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપતાં તેમના સ્થાને કોણ આવશે એની ચર્ચા હતી અને ખાસ કરીને છગન ભુજબળને અવસર અપાશે એવું મનાતું હતું, પણ રાજેન્દ્ર જૈને સોમવારે ઉમેદવારી નોંધાવી ત્યારે પાર્થ પવાર સાથે છગન ભુજબળ, સુનીલ તટકરે, પ્રફુલ પટેલ જેવા NCPના વરિષ્ઠ નેતાઓ હાજર હતા.
મહા વિકાસ આઘાડી તરફથી કોઈ ઉમેદવાર નહીં, રાજેન્દ્ર જૈનની સીટ પાકી થઈ ગઈ?

મહાયુતિ તરફથી રાજ્યસભાની બેઠક માટે રાજેન્દ્ર જૈને સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી હતી ત્યારે મહા વિકાસ આઘાડી તરફથી કોઈએ પણ ઉમેદવારી નોંધાવી નહોતી એને પગલે રાજેન્દ્ર જૈન બિનવિરોધ ચૂંટાઈ આવશે એવું મનાય છે. ફક્ત એક અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે અને આજે મંગળવારે થનારી ઉમેદવારીપત્રની છટણી દરમ્યાન ટેક્નિકલ કારણસર ઉમેદવારી રદ થશે એવી ગણતરી હોવાથી રાજેન્દ્ર જૈનની રાજ્યસભાની સીટ પાકી હોવાનું મનાય છે.
