હૉસ્પિટલમાં કોરોનાની જટિલતા માટે ચાલી રહેલી સારવાર દરમ્યાન અવસાન થયું હતું
રાવસાહેબ અન્તાપુરકર
મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના વિધાનસભ્ય રાવસાહેબ અન્તાપુરકરનું અહીંની હૉસ્પિટલમાં કોરોનાની જટિલતા માટે ચાલી રહેલી સારવાર દરમ્યાન અવસાન થયું હતું. તેઓ ૬૪ વર્ષના હતા તથા શુક્રવારે રાત્રે બૉમ્બે હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. તેઓ મલ્ટિ-ઑર્ગન ફેલ્યરથી પીડાતા હતા અને પહેલી એપ્રિલથી વેન્ટિલેટર પર હતા.
રાવસાહેબ અન્તાપુરકર બે વખત નાંદેડ જિલ્લાના દેગલુર વિધાનસભા મતદાર ક્ષેત્રમાંથી વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
ADVERTISEMENT
પક્ષનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર ૧૯ માર્ચે તેઓ કોવિડ-19 પૉઝિટિવ જાહેર થયા હતા. ૨૨ માર્ચે બૉમ્બે હૉસ્પિટલમાં ખસેડાયા એ પહેલાં તેમને નાંદેડની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૨૮ માર્ચે તેમનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ ફેફસાં અને કિડનીમાં ચેપ લાગવાને કારણે તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં તેમની માતા, પત્ની, બે પરિણીત પુત્રીઓ અને એક પુત્ર છે.
તેમના અવસાન પર રાજ્યના પ્રધાન અને કૉન્ગ્રેસના નેતા અશોક ચવાણે તેમ જ કૉન્ગ્રેસના મહારાષ્ટ્ર એકમના ચીફ નાના પટોલેએ દિલગીરી વ્યક્ત કરી હતી.