માસક્ષમણ તપ પારણા મહોત્સવ અનેક આત્માઓ માટે તપની પ્રેરણાનો પ્રેરક મહોત્સવ બન્યો હતો
ફાઇલ તસવીર
પરમધામના પ્રાંગણમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યમાં ૩૦ ઉપવાસનાં આરાધક પૂજ્ય શ્રી પરમ નેમપ્રિયાજી મહાસતીજીના તપની પૂર્ણતાએ ઉજવાયેલો માસક્ષમણ તપ પારણા મહોત્સવ અનેક આત્માઓ માટે તપની પ્રેરણાનો પ્રેરક મહોત્સવ બન્યો હતો.
ચાર મહિના પહેલાં પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરનારાં બાવીસ વર્ષનાં નૂતન દીક્ષિત મહાસતીજીએ આટલા અલ્પ દીક્ષાપર્યાયમાં ૩૦ ઉપવાસની ઉગ્રાતિઉગ્ર માસક્ષમણ તપની આરાધના કરીને પોતાના દૃઢ મનોબળ અને આત્મસામર્થ્યનાં દર્શન કરાવ્યાં હતાં. તેમના તપની અનુમોદના કરવા આ પારણા મહોત્સવમાં પ્રત્યક્ષ તેમ જ લાઇવના માધ્યમથી દેશવિદેશના હજારો ભાવિકો જોડાયા હતા.

