Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભાઈંદરમાં લવ જેહાદ: ૧૩ વર્ષની હિન્દુ કિશોરીને બુરખો પહેરાવવાનો પ્રયાસ કરાયો

ભાઈંદરમાં લવ જેહાદ: ૧૩ વર્ષની હિન્દુ કિશોરીને બુરખો પહેરાવવાનો પ્રયાસ કરાયો

18 June, 2023 08:25 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૮ અને ૨૦ વર્ષના મુસ્લિમ યુવકોએ મુસ્લિમ રિવાજ મુજબ લગ્ન નહીં કરે તો નકલી ગનથી મારી નાખવાની ધમકી આપી ઃ પોલીસે યુવકની ધરપકડ કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર



મુંબઈ ઃ છેલ્લા કેટલાક સમયથી હિન્દુ નામ કહીને મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને પ્રેમની જાળમાં ફસાવવાના મામલા સામે આવ્યા છે ત્યારે ભાઈંદરમાં ઑનલાઇન ગેમિંગ ઍપ્લિકેશનની મદદથી ૧૩ વર્ષની એક હિન્દુ કિશોરીને બે મુસ્લિમ યુવકોએ પોતાની જાળમાં ફસાવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આરોપી યુવકો કિશોરીને અગાસી પર લઈ ગયા હતા અને તેને બુરખો, વીંટી અને ચેઇન આપીને મુસ્લિમ રિવાજથી લગ્ન કરવાનું દબાણ કર્યું હતું. પોતાની વાત નહીં માને તો નકલી પિસ્તોલથી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલામાં પોલીસે ગૅરેજમાં કામ કરતા બે મુસ્લિમ યુવકની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
ભાઈંદર (વેસ્ટ)માં ૧૩ વર્ષની હિન્દુ ટીનેજરને બુરખો, વીંટી અને ચેઇન પહેરવાનું દબાણ બે મુસ્લિમ યુવકોએ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના તાજેતરમાં બની હતી. આ મામલામાં ભાઈંદર પોલીસે ગુરુવારે ૨૦ વર્ષના મુનવ્વર અંસારી અને ૧૮ વર્ષના અજીમ મન્સુરી નામના ગૅરેજમાં કામ કરનારા મુસ્લિમ યુવકોની ધરપકડ કરી હતી.
કિશોરીની માતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ કિશોરીને બિલ્ડિંગની અગાસી પર લઈ ગયા હતા અને તે બુરખો નહીં પહેરે અને ભાગીને લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખશે એવી ધમકી પિસ્તોલ બતાવીને આપી હતી. યુવકોની ધમકીથી કિશોરી ગભરાઈ ગઈ હતી અને ઘરે આવીને તેણે માતાને આ ઘટનાની જાણ કરી હતી. બાદમાં તેમણે ભાઈંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
નકલી પિસ્તોલથી ધમકી અપાઈ
ભાઈંદર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મુગટરાવ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૩ વર્ષની ટીનેજરને બુરખો પહેરીને લગ્ન કરવાનું દબાણ કરવાના આરોપસર અમે ૨૦ વર્ષના મુનવ્વર અંસારી અને ૧૮ વર્ષના અજીમ મંજૂરીની ધરપકડ કરી છે. તેમની પાસેથી એક નકલી પિસ્તોલ પણ મળી આવી છે. ઑનલાઇન ગેમિંગ ઍપ્લિકેશનના માધ્યમથી આરોપીઓ ટીનેજરના સંપર્કમાં આવ્યા હતા. અગાસી પર લઈ જઈને આરોપીઓએ વિનયભંગ કરતાં ટીનેજર ગભરાઈ ગઈ હતી અને તે તેના ઘરે ગયા બાદ ઘટનાની જાણ માતાને કરી હતી. તેની માતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ અમે આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. આ મામલો ખૂબ જ સંવેદનશીલ છે એટલે આગળની તપાસ કરી રહ્યા છીએ.’
પરિવારે નજર રાખવી જોઈએ
સગીર કિશોરી કે વયસ્ક યુવતી કોઈની જાળમાં ફસાઈ ન જાય એ માટે તેનાં માતા-પિતાને સલાહ આપવામાં આવે છે કે તેમણે પુત્રી પર નજર રાખવી જોઈએ. મુગુટરાવ પાટીલે આ વિશે કહ્યું હતું કે ‘માત્ર યુવતીનાં માતા-પિતાએ જ નહીં, યુવકના પરિવારે પણ પુત્ર શું કરે છે અને કોની સંગતમાં છે એ જોવું જોઈએ. યુવતીની સાથે યુવકના પરિવારની પણ એટલી જ જવાબદારી છે. મારું માનવું છે કે યુવકનો પરિવાર જો તેની હિલચાલ પર નજર રાખશે તો છેડતી, વિનયભંગ કે બળાત્કારના કેસમાં ઘટાડો થશે.’ 


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2023 08:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK