Gadchiroli: ધાનોરા તાલુકાના જપતલાઈ ગામમાં એક આદિવાસી આશ્રમશાળાની ગર્લ્સ હોસ્ટેલમાં ભોંય પર સૂતેલી વિદ્યાર્થીનીઓનો ઝેરી સાપે પોતાના ડંખથી જીવ લઇ લીધો હતો
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના ગઢચિરોલી (Gadchiroli)માં અત્યંત કરુણ ઘટના બની છે. આમ તો ૯મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. અને આ જ દિવસે એક એવી ઘટના બની છે કે જેણે આ ઉત્સવમય દિવસને માતમમાં ફેરવી દીધો. હા, વાત એમ છે કે ધાનોરા તાલુકાના જપતલાઈ ગામમાં એક આદિવાસી આશ્રમશાળાની ગર્લ્સ હોસ્ટેલમાં ભોંય પર સૂતેલી વિદ્યાર્થીનીઓનો ઝેરી સાપે પોતાના ડંખથી જીવ લઇ લીધો હતો. ત્રણ સ્ટુડન્ટ્સનાં મોતથી હોસ્ટેલમાં હડકંપ મચી જવા પામ્યો છે. એક તરફ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ દિવસની જોરદાર ઉજવણી થઇ આને એ જ રાત્રે આ રીતે ત્રણ આદિવાસી બાળાઓનો જીવ ગયો, તેણે આદિવાસી બાળકોની વિકટ પરિસ્થિતિ આપણી સામે મૂકી આપી છે. કહેવાઈ રહ્યું છે કે અન્ય ૩ બાળાઓને હોસ્પિટલમાં દાખલ કરાઇ છે, કારણ કે સર્પદંશને કારણે તેમની હાલત પણ ક્રિટીકલ છે.
અન્ય ત્રણની હાલત ક્રિટિકલ
ADVERTISEMENT
ધાનોરા તાલુકા મુખ્યમથકથી આશરે ૧૦ કિલોમીટરના અંતરે જપતલાઈ (Gadchiroli) નામનું ગામ છે. અહીં કુપ્પા લિંગો શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ સંશોધન શાળા`માં રવિવારે મધ્યરાત્રિએ અચાનક ઝેરીલો સાપ આવી ચડ્યો હતો. હોસ્ટેલમાં સ્ટુડન્ટ્સ દીઠ પૂરતા ખાટલા કે બેડની સુવિધા ન હોવાથી અમૂક બાળાઓ ભોંય પર જ ગાદલા પાથરીને ઊંઘી રહી હતી. ત્યાં અચાનક ઝેરી સાપે આ નિંદ્રાધીન બાળાઓને ડંખ માર્યો હતો. આ મામલાની જાણ થતાં જ તમામ બાળાઓને તુરંત હોસ્પિટલભેગી કરવામાં આવી હતી. પરંતુ સારવાર મળે તે પહેલાં જ ત્રણ બાળકીઓએ દમ તોડી નાખ્યો હતો. ૧૪ વર્ષની સુષ્મિતા, ૧૨ વર્ષની દીપિકા અને ૮ વર્ષની અનુ નામની બાળકીઓનો ઝેરી સાપે જીવ લઇ લીધો. તે ત્રણ સિવાય અન્ય ત્રણ બાળાઓ અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે. તેઓને તાકીદે એન્ટી-વેનમ આપીને બચાવી લેવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. મેડિકલ ટીમ સતત આ ત્રણેય બાળાઓની હેલ્થ પર નજર રાખી રહી છે.
બીજી તરફ આ સમગ્ર મામલે (Gadchiroli) બેદરકારી અંગે પણ પ્રશ્ન ઉઠાવાઇ રહ્યો છે. એક તો હોસ્ટેલના મહિલા ગૃહમાતા સ્થળ પર હાજર નહોતા અને આ રીતે આશ્રમશાળામાં રહેતી આદિવાસી સ્ટુડન્ટ્સની સુરક્ષા, રહેવાની પ્રોપર વ્યવસ્થા, સ્વચ્છતા અને ખાસ તો આપાતકાલીન તબીબી મદદની સરકારી વ્યવસ્થાના ડામાડોળને લીધે આજે ત્રણ માસૂમ જીવોએ આ દુનિયાને અલવિદા કરવી પડી છે.
જિલ્લા કલેક્ટરે આ સમગ્ર મામલે (Gadchiroli) તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ હોસ્ટેલમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા હતી કે નહીં તે પણ તપાસ કરવાના આદેશ આપ્યા છે. તેમણે જિલ્લા સિવિલ સર્જનને એડમિટ બાળાઓની સારવારમાં કોઈ ખામી ન રહે તે માટે નિર્દેશ આપ્યા છે.
આ કરુણ ઘટના બાદ વિરોધી પોલિટિકલ પાર્ટીઓએ પણ પ્રશાસનની બેદરકારી સામે વિરોધ વ્યક્ત કર્યો છે. `આઝાદ સમાજ પાર્ટી`એ આક્રમક વલણ અપનાવતાં પાર્ટીના જિલ્લા અધ્યક્ષ રાજ બંસોડે કહ્યું કે, "અધિકારીઓ એસી રૂમમાં ઊંઘે છે અને આદિવાસી આશ્રમશાળાઓની હાલત અત્યંત દયનીય થઈ ગઈ છે." તેમણે જવાબદાર પ્રોજેક્ટ ઓફિસરને તુરંત સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.
