ગયા મહિને એકનાથ શિંદેએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી
ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ ગઈ કાલે વડા પ્રધાન સાથે મુલાકાત કરી હતી. એ વખતે પાર્ટીના સંસદસભ્યો પણ તેમની સાથે હાજર રહ્યા હતા.
રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે શુક્રવારે દિલ્હીની મુલાકાત લઈને સંસદમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને મળ્યા એ પછી રાજકીય વર્તુળોમાં ફરી એક વાર અટકળોનો માહોલ છવાઈ ગયો છે. આવતા અઠવાડિયે કેન્દ્રીય પ્રધાનમંડળના સંભવિત ફેરફાર અને સંસદમાં સીમાંકન બિલ રજૂ થવાના સંકેતો પહેલાં આ મુલાકાત થઈ હતી. વળી સુપ્રીમ કોર્ટ હાલમાં શિવસેનાના નામ અને ચિહ્ન કેસની સુનાવણી કરી રહી હોવાથી આ બેઠકનું મહત્ત્વ પણ વધે છે. શિવસેનાના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી નૅશનલ ડેમૉક્રેટિક અલાયન્સ (NDA)ના ઘટક પક્ષોને મળી રહ્યા હતા અને એકનાથ શિંદે પણ શિવસેનાના વડા તરીકે વડા પ્રધાનને મળ્યા હતા. શિવસેનાના લોકસભામાં હવે ૧૩ સંસદસભ્ય છે. નરેન્દ્ર મોદી તાજેતરમાં શિવસેના (UBT)માંથી એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયેલા ૬ સંસદસભ્યોને પણ મળ્યા હતા અને શુક્રવારે નાસ્તામાં તેમના મતવિસ્તારોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ADVERTISEMENT
આ અઠવાડિયાની શરૂઆતમાં શ્રીકાંત શિંદે અને નવા ચૂંટાયેલા મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપાધ્યક્ષ સચિન આહિરના નેતૃત્વમાં શિવસેનાના સંસદસભ્યો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા.
ગયા મહિને એકનાથ શિંદેએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. એ વખતે પણ તેમની સાથે તાજેતરમાં જ તેમની સાથે જોડાયેલા શિવસેના ૬ સંસદસભ્યોનો સમાવેશ હતો. ગયા મહિને અમિત શાહને મળ્યા પછી એકનાથ શિંદેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મહિલા અનામત બિલ અને સીમાંકન બિલ સંસદના આગામી ચોમાસા સત્ર દરમ્યાન પસાર થશે.
કલ્યાણ-ડોમ્બિવલીમાં શિંદસેનાના સેંકડો કાર્યકરો BJPમાં જોડાયા
મહાયુતિના ઘટક સભ્યો શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે મહારાષ્ટ્રમાં જ ખેંચતાણ ચાલી રહી હોય એવી ઘટના કલ્યાણ-ડોમ્બિવલીમાં બની છે. શુક્રવારે એક કાર્યક્રમ દરમ્યાન શિવસેનાના સેંકડો કાર્યકરો BJPમાં સામેલ થયા હતા. મહાયુતિમાં જ પદાધિકારીઓ અને કાર્યકરો પક્ષાંતર કરી રહ્યા હોવાના નવાઈ પમાડનારા સમાચારો આ પહેલાં પણ આવી ચૂક્યા છે.
આ કાર્યક્રમ ઠાકુર્લીનાં નગરસેવિકા શારદા ચૌધરી અને BJPના કલ્યાણ જિલ્લાના ઉપાધ્યક્ષના નેતૃત્વમાં પાર પાડવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા થઈ રહેલાં વિકાસકામોથી પ્રભાવિત થઈને લોકો BJPમાં જોડાઈ રહ્યા હોવાનું આ દરમ્યાન જણાવવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓ સ્વેચ્છાએથી BJPમાં પ્રવેશ કરી રહ્યા હોવાનું કલ્યાણ BJPના એક વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યું હતું.
કલ્યાણ-ડોમ્બિવલીને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ગઢ માનવામાં આવે છે ત્યારે બંગાલી સમાજ, વણજારા સમાજ વગેરે BJPમાં જોડાઈ રહ્યા હોવાથી કલ્યાણ અને ડોમ્બિવલીમાં BJPની તાકાત વધી રહી હોવાનું દૃશ્ય છે.
