અયોધ્યામાં પ્રભુ શ્રીરામના રાજ્યાભિષેક સમારોહના અવસરે મુંબઈમાં ગિરગાંવ ચોપાટી ખાતે એ મહાપુરુષના જીવન પર આધારિત લાઇટ ઍન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો હતો.
ફડણવીસે ગિરગામ ચોપાટી ખાતે સ્વરાજ ભૂમિ તથા લાઇટ ઍન્ડ સાઉન્ડ શોનું કર્યું ઉદ્ઘાટન
અયોધ્યામાં પ્રભુ શ્રીરામના રાજ્યાભિષેક સમારોહના અવસરે મુંબઈમાં ગિરગાંવ ચોપાટી ખાતે એ મહાપુરુષના જીવન પર આધારિત લાઇટ ઍન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો હતો, જેની પરિકલ્પના મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ગિરગાંવ ચોપાટી ખાતે લોકમાન્ય ટિળક ઉદ્યાનમાં ગ્લો-ગાર્ડન બનાવવામાં આવ્યો હતો.
લાઇટ ઍન્ડ સાઉન્ડ શો અને ગ્લો ગાર્ડનનું ઉદ્ઘાટન નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરવામાં આવ્યું હતું. એ જ રીતે લોકમાન્ય ટિળક ઉદ્યાન અને આસપાસના વિસ્તારને ‘સ્વરાજ્ય ભૂમિ’ નામ આપવામાં આવ્યું હતું. આ લાઇટ ઍન્ડ સાઉન્ડ શો દ્વારા ભારતના મહાપુરુષોની ગાથાને ઉજાગર કરવામાં આવશે. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ શ્રીરામના રાજ્યાભિષેકના અવસરે દરેક વ્યક્તિ આ લાઇટ ઍન્ડ સાઉન્ડ શો દ્વારા ભગવાન શ્રીરામની જીવનયાત્રાનો અનુભવ કરી શકશે.
આ પ્રસંગે બોલતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘હું મંત્રી મંગલ પ્રભાત લોઢાને સ્વરાજ્યભૂમિનો મુદ્દો ઉઠાવવા અને એ મુજબ આ લાઇટ ઍન્ડ સાઉન્ડ શો શરૂ કરવા બદલ અભિનંદન આપું છું. આજે સમગ્ર ભારતમાં રામમય વાતાવરણ છે, આ લાઇટ ઍન્ડ સાઉન્ડ શો દ્વારા ભગવાન શ્રીરામના જીવન વિશે આપણને જાણવા મળશે. સાથે જ લોકમાન્ય ટિળક, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર અને અન્ય ઘણા મહાપુરુષોના જીવનની માહિતી અહીં મળશે. આ ખૂબ સારી પહેલ શરૂ કરવા બદલ હું દરેકને અભિનંદન આપું છું.
મુંબઈ શહેરના પાલક પ્રધાન દીપક કેસરકર, ધારાસભ્ય પ્રસાદ લાડ, વિધાન પરિષદ જૂથના નેતા પ્રવીણ દરેકરે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મંગલ પ્રભાત લોઢાએ કાર્યક્રમની કલ્પના કરી હતી અને તેઓ કાર્યક્રમના અધ્યક્ષ હતા.

