કોરોના વાઈરસ અસર: ડબ્બાવાળા પણ 31 માર્ચ સુધી સર્વિસ બંધ રાખશે
ડબ્બાવાળા (તસવીર : અતુલ કાંબલે)
કોરોના વાઇરસના રોગચાળાને કારણે રાજ્ય સરકારે શાળાઓ, કૉલેજો, મૉલ્સ વગેરે બંધ કરવા અને ખાનગી ઑફિસોમાં શક્ય હોય એટલા કર્મચારીઓને બહાર જવાનું ટાળીને ઘરેબેઠાં કામ કરવાની જોગવાઈ કરવામાં આવતાં કેટલાક દિવસોમાં ડબ્બાવાળાઓનું કામ ઘટી ગયું છે. જોકે બીજી બાજુ કેન્દ્ર સરકારના સેલ્ફ ક્વૉરન્ટીનના આગ્રહને કારણે ડબ્બાવાળાઓના આરોગ્યનું ધ્યાન રાખવાની દૃષ્ટિએ પણ તેમને બહાર નીકળવાનું ટાળવાની જરૂરિયાત પણ ઊભી થઈ છે.
ગઈ કાલે મુંબઈ ડબ્બાવાળા અસોસિએશનના પ્રમુખ સુભાષ તળેકરે જણાવ્યું હતું કે નાગરિકોને ઘરની બહાર નીકળવાની સરકારની અપીલને માન આપીને અમે ૩૧ માર્ચ સુધી અમારું કામ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. એ ઉપરાંત ડબ્બાવાળાઓના આરોગ્યની કાળજી રાખવાની પણ જરૂરિયાત છે. અમે ગ્રાહકોને ડબ્બાવાળાઓને મહિનાની સંપૂર્ણ ફી ચૂકવવાનો અનુરોધ કરીએ છીએ, કારણ કે આરોગ્યની સાર્વજનિક કટોકટીને કારણે સેવાઓ રોકવામાં આવી છે. શાળાઓ અને કૉલેજો બંધ હોવાથી તથા ઘણી ઑફિસોમાં વર્ક ફ્રૉમ હોમની જોગવાઈને કારણે અમારા અનેક ગ્રાહકોએ સેવાઓ રોકી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : મુંબઈ : કોરોનાગ્રસ્ત પેશન્ટ ટ્રેન દ્વારા સોલાપુર જઈ મુંબઈ પાછો ફર્યો
મુંબઈમાં રોજ ૫૦૦૦ ડબ્બાવાળા બે લાખ ટિફિન્સ લેવા અને કાર્યસ્થળે પહોંચાડવા અને પાછા ઘરે પહોંચાડવાની કામગીરી બજાવે છે. સામાન્ય રીતે એક ડબ્બાવાળો લગભગ પાંત્રિસેક ટિફિન્સનું કામકાજ સંભાળે છે, પરંતુ કેટલાક દિવસોથી દરેક ડબ્બાવાળો સરેરાશ ૧૦થી ૧૨ ટિફિન્સનું કામકાજ સંભાળે છે.