પુણેમાં ૫૭ વર્ષના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી)એ સોમવારે પત્ની અને ભત્રીજાને ગોળી ધરબીને મારી નાખ્યાં હતાં.
પ્રતીકાત્મક તસવીર
પુણે, (પીટીઆઇ): પુણેમાં ૫૭ વર્ષના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી)એ સોમવારે પત્ની અને ભત્રીજાને ગોળી ધરબીને મારી નાખ્યાં હતાં.
પોલીસે જણાવ્યા મુજબ આ ઘટના વહેલી સવારે ૩.૩૦ વાગ્યે એસીપી ભરત ગાયકવાડના બંગલામાં બની હતી. ચતુરશ્રૃંગી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે સમગ્ર બનાવ વિશે ચોક્કસ કારણનો હજી પત્તો લાગ્યો નથી.
ભરત ગાયકવાડ અમરાવતીમાં એસીપી તરીકે ફરજ બજાવીને ઘરે પરત આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ભરત ગાયકવાડે પહેલાં ૫૪ વર્ષની પત્ની મોની ગાયકવાડને માથામાં ગોળી મારી. ગોળીનો અવાજ સાંભળીને દોડી આવેલા દીકરા અને ભત્રીજાએ દરવાજો ખોલ્યો તો તેમણે ૩૫ વર્ષના ભત્રીજા દીપક પર પણ ફાયરિંગ કરી દીધું. ભત્રીજાને છાતીના ભાગે ગોળી વાગી હતી. ત્યાર બાદ ગાયકવાડે પોતાના લમણામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ત્રણે જણનાં જગ્યા પર જ મોત થયાં હતાં. કારણ શોધવા પોલીસ તપાસ કરી રહી છે.


