ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)એ મેયરપદ માટેના પોતાના જ ઉમેદવારને બદલી કાઢ્યો હતો
મેયરપદ માટે નવાં ઉમેદવાર સ્નેહ મેહુલ.
મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીને એક મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં ભિવંડીના મેયરપદ માટે ખેંચતાણ ચાલુ જ છે. ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેયરની ચૂંટણી પહેલાં BJPને મોટો ઝટકો લાગ્યો છે. એના બાવીસ કૉર્પોરેટરોમાંથી ૯ કૉર્પોરેટરોએ અલગ જૂથ બનાવીને કૉન્ગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનને ટેકો આપ્યો છે. કૉન્ગ્રેસના એક કાર્યકર્તાએ બુધવારે જણાવ્યું હતું કે ભિવંડી સેક્યુલર ફ્રન્ટ (BSF)ના સમર્થનથી કૉન્ગ્રેસ-નેશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP) ગઠબંધન ૯૦માંથી ૪૬ સભ્યોના અડધા આંકડાને પાર કરી ગયું છે. BJPના ૯ કૉર્પોરેટરોએ લીધેલા કૉન્ગ્રેસને ટેકો આપવાના નિર્ણયને લીધે BJP અને શિવસેના વચ્ચે મતભેદ ઊભા થયા છે.
ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)એ મેયરપદ માટેના પોતાના જ ઉમેદવારને બદલી કાઢ્યો હતો. અગાઉ BJPએ નારાયણ ચૌધરીનું નામ આગળ ધર્યું હતું, પણ બુધવારે BJPના ભિવંડી શહેરના અધ્યક્ષ રવિકાંત સાવંતે મેયરપદ માટે સ્નેહ મેહુલના નામની ઘોષણા કરી હતી. ૨૦ ફેબ્રુઆરીએ ભિવંડીના મેયરપદ માટે ચૂંટણી થશે ત્યાં સુધી હજુ પક્ષો વચ્ચે સમીકરણો બદલાયા કરવાનું અપેક્ષિત છે.
