મુંબઈની સેશન્સ કોર્ટે શનિવારે ૨૦૨૧ના સનસનાટીભર્યા જાહ્નવી કુકરેજા હત્યાકેસમાં ચુકાદો આપ્યો છે.
જાહ્નવી કુકરેજા હત્યાકેસમાં તેના મિત્ર શ્રી જોગધનકરને આજીવન કેદની સજા
મુંબઈની સેશન્સ કોર્ટે શનિવારે ૨૦૨૧ના સનસનાટીભર્યા જાહ્નવી કુકરેજા હત્યાકેસમાં ચુકાદો આપ્યો છે. એમાં તેના મિત્ર શ્રી જોગધનકરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી દિયા પડળકરને નિર્દોષ જાહેર કરવામાં આવી છે.
૧૯ વર્ષની જાહ્નવીની ૨૦૨૧ની પહેલી જાન્યુઆરીએ ખારમાં એક ઇમારતમાં હત્યા કરવામાં આવી હતી, જેને કારણે શ્રી અને દિયાની ધરપકડ કરવામાં આવી હતી. તે બન્ને જાહ્નવીનાં મિત્રો હતાં. ઍડિશનલ સેશન્સ જજ સત્યનારાયણ નવાંદરે શ્રી જોગધનકરને ભારતીય દંડ સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ હત્યાનો દોષી ઠેરવ્યો હતો.
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા મુજબ શ્રી જોગધનકર અને દિયા પડળકરે એ ઇમારતની ટેરેસ પર નવા વર્ષની પૂર્વસંધ્યાની પાર્ટી પછી જાહ્નવી કુકરેજા પર હુમલો કર્યો હતો અને તેને પાંચમા માળેથી સીડી નીચે ખેંચી હતી અને તેની હત્યા કરી હતી. પોલીસે દાવો કર્યો હતો કે શ્રી જોગધનકર અને દિયા પડળકર વચ્ચે વધતી જતી નિકટતાને કારણે શ્રી અને જાહ્નવી વચ્ચે ઝઘડો થયો હતો. જજ સત્યનારાયણ નવાંદરે દિયા પડળકરને આ કેસમાં પુરાવાના અભાવે દોષમુક્ત કરી હતી.


