મુંબઈ-અમદાવાદ હાઇવે પર પાલઘર જિલ્લાના ધાનીવરી ગામ પાસે ગમખ્વાર અકસ્માત, કન્ટેનર ટ્રકે ટેમ્પોને ટક્કર મારી એમાં ૧૩ જણનાં મોત: જઈ રહ્યા હતા સગાઈ માટે, આવી ગયું કાળનું કહેણ
અકસ્માત સ્થળ
આ ટક્કરમાં એક ટૂ-વ્હીલર પણ સપડાયું અને બે જણનો જીવ ગયો : મુખ્ય પ્રધાને જીવ ગુમાવનારી વ્યક્તિઓના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી
પાલઘર જિલ્લાના ધાનીવરી ગામ પાસે મુંબઈ-અમદાવાદ હાઇવે પર ગઈ કાલે સાંજે ૪ વાગ્યાની આસપાસ ગોઝારો અકસ્માત થયો હતો. ટેમ્પોને પૂરઝડપે જઈ રહેલી કન્ટેનર ટ્રકે અડફેટે લેતાં ટેમ્પોમાં એક સંબંધીની સગાઈ માટે જઈ રહેલા સંબંધીઓમાંથી ૧૩ લોકોનાં મોત થયાં હતાં અને ૨૦ જેટલા લોકો ઘાયલ થયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે કન્ટેનરની ડ્રાઇવરની કૅબિન છૂટી પડી ગઈ હતી અને કન્ટેનર અને ટેમ્પો બન્ને પલટી ખાઈ ગયાં હતાં. ઘાયલોને દહાણુની વેદાંત અને કાસા રૂરલ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. આ ટક્કરમાં વચ્ચે એક ટૂ-વ્હીલર પણ સપડાઈ જતાં એના પર સવાર બે જણનાં પણ મોત થયાં હતાં.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ દહાણુ તાલુકાના બાપુગાવથી હાઇવે પાસે આવેલા ધાનીવરી ગામના ખડકીપાડામાં પ્રસંગ માટે એ પરિવાર સંબંધીઓ સાથે ટેમ્પોમાં નીકળ્યો હતો. તેમનો ટેમ્પો જે છોકરીની સગાઈ થવાની હતી તેના ઘર પાસે પહોંચ્યો ત્યારે જ આ ગોઝારો અકસ્માત થયો હતો. મુંબઈ તરફથી પૂરઝડપે આવી રહેલી કન્ટેનર ટ્રકે તેમના ટેમ્પોને અડફેટે લીધો હતો. હાઇવે પર ઍક્સિડન્ટ થતાં તરત જ લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઘાયલોને દહાણુની વેદાંત અને કાસાની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટના બદલ દુ:ખ વ્યક્ત કરીને મરનારના પરિવારને રાજ્ય સરકાર તરફથી પાંચ-પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી અને ઘાયલોની સારવાર શ્રેષ્ઠ કરવાનો આદેશ આપ્યો છે.
