રોમન કૅથલિક ચર્ચના પહેલા લૅટિન અમેરિકન ધર્મગુરુ હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમનાં બન્ને ફેફસાંમાં ન્યુમોનિયા હતો જેના કારણે તેમની સ્થિતિ ગંભીર બની હતી
પોપ ફ્રાન્સિસ
ઈસાઈઓના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું ૮૮ વર્ષની ઉંમરે સોમવારે નિધન થયું છે. તેઓ રોમન કૅથલિક ચર્ચના પહેલા લૅટિન અમેરિકન ધર્મગુરુ હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમનાં બન્ને ફેફસાંમાં ન્યુમોનિયા હતો જેના કારણે તેમની સ્થિતિ ગંભીર બની હતી. તેઓ ૩૮ દિવસ સુધી હૉસ્પિટલમાં હતા અને હાલમાં જ ડિસ્ચાર્જ કરાયા હતા. તેમનું તેમના આવાસ કાસા સેન્ટા માર્ટા પર નિધન થયું. તેમના નિધન બાદ સમગ્ર દુનિયામાં શોકની લહેર છે. વૅટિકનમાં ૯ દિવસનો શોક જાહેર કરી દેવાયો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપતાં સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘પોપ ફ્રાન્સિસના નિધનથી ખૂબ દુઃખ થયું. દુઃખના આ સમયમાં વૈશ્વિક કૅથલિક સમુદાય પ્રત્યે મારી સંવેદના. પોપ ફ્રાન્સિસ હંમેશાં દુનિયાભરના લાખો લોકો દ્વારા કરુણા, વિનમ્રતા અને આધ્યાત્મિક સાહસના પ્રતીક તરીકે યાદ કરાશે.’

