સુરતમાં ત્રણ પરિવારને ૩ નિરાધાર દીકરીઓ દત્તક અપાઈ: મુંબઈ, ભુજ અને પુણેના પરિવારના આંગણે લક્ષ્મીજી પધાર્યાં
દીકરીઓ દત્તક મળતાં મુંબઈ, કચ્છ-ભુજ અને પુણેના પરિવારોમાં ખુશી છવાઈ ગઈ હતી.
સુરતમાં તરછોડાયેલી હાલતમાં મળી આવેલી ૪ અને પાંચ મહિનાની ૩ બાળકીઓ હસ્તી, શિવ્યા અને માહીને ગઈ કાલે નવાં માતા-પિતા મળ્યાં હતાં. સંતાનસુખ માટે ઉત્સુક એવા ત્રણ પરિવારમાં લક્ષ્મીજીના રૂપમાં દત્તક દીકરીઓનું આગમન થતાં પરિવારમાં આનંદ છવાયો હતો. સુરતમાં આવેલી સમાજ સુરક્ષા કચેરી અને બાળ સંરક્ષણ ગૃહમાં આશ્રય લઈ રહેલી ત્રણ વહાલસોયી દીકરીઓને સ્પેશ્યલ અડૉપ્શન એજન્સીના માધ્યમથી કતારગામ ખાતે આવેલા પોપાવાલા અનાથ આશ્રમ ખાતે ગઈ કાલે સુરતના પોલીસ-કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારના હસ્તે મુંબઈ, ભુજ અને પુણેના ત્રણ પરિવારને દત્તક સોંપવામાં આવી હતી.
