Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં ૮૯૦ બંગલાદેશીઓની જાણે રૅલી નીકળી

અમદાવાદમાં ૮૯૦ બંગલાદેશીઓની જાણે રૅલી નીકળી

Published : 27 April, 2025 02:46 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતમાં ગેરકાયદે રહેતા બંગલાદેશીઓ પર પોલીસ ત્રાટકી, અમદાવાદ અને સુરતમાં ૧૦૦૦ લોકોને ઊંઘતાં ઝડપી લીધા

પહલગામમાં બનેલી ઘટનાના વિરોધમાં આતંકવાદીઓ સામે અમદાવાદમાં ગઈ કાલે અમદાવાદ વેપારી મહા સંગઠન દ્વારા વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાળુપુર વિસ્તારમાં વેપારીઓએ બપોર બાદ બંધ પાળીને રૅલી યોજી હતી.

પહલગામમાં બનેલી ઘટનાના વિરોધમાં આતંકવાદીઓ સામે અમદાવાદમાં ગઈ કાલે અમદાવાદ વેપારી મહા સંગઠન દ્વારા વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાળુપુર વિસ્તારમાં વેપારીઓએ બપોર બાદ બંધ પાળીને રૅલી યોજી હતી.


પહલગામમાં બનેલી ઘટના બાદ ગુજરાત પોલીસ ઍક્શનમાં આવી ગઈ છે અને ગુજરાતમાં ગેરકાયદે રહેતા બંગલાદેશીઓ સામે પોલીસે સર્ચ-ઑપરેશન હાથ ધર્યું છે. અમદાવાદમાં પોલીસે શુક્રવારે અડધી રાતે બંગલાદેશીઓ માટેના આશ્રયસ્થાન સમા ચંડોળા તળાવ વિસ્તારમાં ઘૂસણખોર બંગલાદેશીઓ સામે સર્ચ-ઑપરેશન હાથ ધરી ગેરકાયદે રહેતાં ૮૯૦ બંગલાદેશી પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને ઝડપી લીધાં હતાં. અમદાવાદમાં હાથ ધરાયેલા ઑપરેશનમાં કોઈ મુશ્કેલી ન સર્જાય એ માટે મોડી રાતે જ ઊંઘતા બંગલાદેશીઓને ચુપકીદીથી પકડી લીધા હતા. પોલીસે પૂરતી તૈયારી કરીને જ ઑપરેશન હાથ ધર્યું હતું. અમદાવાદમાંથી એકસાથે ૮૯૦ બંગલાદેશીઓને ચાલતાં-ચાલતાં ક્રાઇમ બ્રાન્ચ ઑફિસે લઈ જવાતા હતા ત્યારે જાણે કોઈ રૅલી નીકળી હોય એવું લાગ્યું હતું. અમદાવાદમાં ઝડપાયેલા બંગલાદેશીઓ સામે કાર્યવાહી દરમ્યાન મહિલાઓએ ક્રાઇમ બ્રાન્ચ ઑફિસે ધસી જઈને હોબાળો મચાવ્યો હતો. જોકે પોલીસે મામલો કાબૂમાં લઈને પરિસ્થિતિ પર અંકુશ મેળવી લીધો હતો.


અમદાવાદની જેમ સુરતમાં પણ શુક્રવારે મોડી રાતે પોલીસની અલગ-અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગેરકાયદે રહેતા ૧૩૪ બંગલાદેશીઓને ઝડપી લેવાયા હતા. ગઈ કાલે રાજકોટ, વડોદરા અને જામનગરમાં ગેરકાયદે રહેતા બંગલાદેશીઓનું સર્ચ-અભિયાન હાથ ધરાયું હતું. રાજકોટમાંથી ગેરકાયદે રહેતા ૩૦ બંગલાદેશીઓને ઝડપી લેવાયા હતા. વડોદરામાં પોલીસની ૭ ટીમે સર્ચ-ઑપરેશન હાથ ધરીને ગેરકાયદે બંગલાદેશીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.




અમદાવાદમાં ગેરકાયદે રહેતા બંગલાદેશીઓને ઝડપીને લઈ જવાતા હતા ત્યારે જાણે કોઈ રૅલી નીકળી હોય એવું દૃશ્ય સર્જાયું હતું. પોલીસે પકડાયેલા બંગલાદેશીઓને ક્રાઇમ બ્રાન્ચની ઑફિસના મેદાનમાં બેસાડ્યા હતા. તસવીર : જનક પટેલ.


કૉન્ગ્રેસના સવાલ : બંગલાદેશીઓ કેવી રીતે અહીં આવ્યા? તેમને રહેઠાણના આશીર્વાદ કોણે આપ્યા?   

ગુજરાતનાં અમદાવાદ અને સુરત સહિતનાં શહેરોમાં ગેરકાયદે રહેતા બંગલાદેશીઓ સામે ગુજરાત પોલીસે કરેલી કાર્યવાહીને ગુજરાત કૉન્ગ્રેસના અગ્રણીઓએ યોગ્ય ગણાવી હતી અને એની સાથોસાથ એવા પ્રશ્નો ઉઠાવ્યા હતા કે બંગલાદેશીઓ કેવી રીતે અહીં આવ્યા? તેમને રહેઠાણના આશીર્વાદ કોણે આપ્યા?  ગુજરાત વિધાનસભામાં કૉન્ગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે ‘સમયસમયે તપાસ કરીને જે કાર્યવાહી કરવાની થાય એ કરવી જોઈએ. આજે હુમલો થાય છે, લોકોના જીવ જાય છે પછી દેખાવ પૂરતી તમે કાર્યવાહી કરો તો હું માનું છું કે આ હોમ ડિપાર્ટમેન્ટની નિષ્ફળતા છે.’

અમદાવાદમાં જમાલપુર ખાડિયા વિધાનસભાના કૉન્ગ્રેસના વિધાનસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે ‘આ કાર્યવાહી પહેલાં કરવાની જરૂર હતી. આવી ઘટના બનતી હોય છે ત્યારે જે પ્રમાણે ઍક્શન લેવી જોઈએ એ એ ટાઇમે જ લેવી જોઈએ. અમદાવાદ, સુરત કે બીજા વિસ્તારોમાં બંગલાદેશીઓ આવ્યા કેવી રીતે એ તપાસનો વિષય છે. સરકાર પાસે અલગ-અલગ ફોર્સિસ છે; ઇન્ટેલિજન્સ બ્યુરો, ક્રાઇમ બ્રાન્ચ છે; બધી વ્યવસ્થા છે તો હું સમજું છું કે આમાં કોઈક જગ્યાએ મિસ્ચીફ થયું હશે સરકારથી.’ ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું હતું કે ‘આટલાં વર્ષોથી ગેરકાયદે વસતા બંગલાદેશી નાગરિકોને રહેઠાણના આશીર્વાદ કોણે આપ્યા? તેમના ખોટા પુરાવા ઊભા થઈ ગયા, બનાવટી દસ્તાવેજો બની ગયા તો તંત્રમાં કોના આશીર્વાદ છે? આ કયા પ્રકારનો ભ્રષ્ટાચાર છે જે દેશને મુશ્કેલીમાં મૂકી શકે છે.’

ગુજરાતના પોલીસવડા વિકાસ સહાય કહે છે, મોટા ભાગના લોકો બંગાળમાંથી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ગુજરાતમાં કરી રહ્યા છે વસવાટ  

પકડાયેલા બંગલાદેશીઓમાંથી મોટા ભાગના લોકો બંગાળમાંથી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ગુજરાતમાં વસવાટ કરતા હોવાનું જણાઈ આવતાં ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયે કહ્યું હતું કે ‘બનાવટી દસ્તાવેજો બનાવનારા બંગાળના ગુનાહિત નેટવર્કની તપાસ ચાલુ છે. ઝડપાયેલા બંગલાદેશીઓને કાનૂની પ્રક્રિયા પૂરી કરીને તેમના મૂળ દેશ બંગલાદેશ પરત મોકલવામાં આવશે. આ અભિયાન રાજ્યમાં ગેરકાયદે ઘૂસણખોરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે અને ગુજરાત પોલીસ અગામી દિવસોમાં આવી કામગીરીને વધુ તેજ બનાવશે.’

અમદાવાદમાંથી ઝડપાયેલા બે બંગલાદેશીના તાર અલ-કાયદા સાથે જોડાયેલા હોવાની શંકા 

ગુજરાતમાં ગેરકાયદે રહેતા બંગલાદેશીઓ બે દિવસમાં સરેન્ડર થાઓ - ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2025 02:46 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK