હિંમતનગરના એક ખેતરમાં નવજાત બાળકીને જીવતી દાટી દેવાઈ હતી. જોકે આ બાળકીને ચમત્કારિક રીતે બચાવી લેવાયાના સમાચાર વીજળીવેગે પ્રસરતાં ત્રણ ફૅમિલી તેને દત્તક લેવા તૈયાર થઈ ગઈ છે
બાળકીને હિંમતનગર સિવિલ હૉસ્પિટલ લાવવામાં આવી હતી
‘રામ રાખે તેને કોણ ચાખે’ કહેવત સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા ગાંભોઈ ગામ નજીક વધુ એક વાર સાચી ઠરી છે, જેમાં ગાંભોઈના એક ખેતરમાં ગઈ કાલે સવારે કોઈક અગમ્ય કારણસર દાટી દીધેલી નવજાત બાળકી જીવતી બહાર કાઢી હતી. ભલે આ નવજાતનાં મા-બાપ કે સગાંએ તેને કોઈક કારણસર તરછોડી દીધી હોય, પણ બાળકી જીવતી બહાર નીકળ્યાના સમાચાર વાયુવેગે પ્રસરતાં ત્રણ ફૅમિલી એ દીકરીને દત્તક લેવા તૈયાર થઈ ગઈ છે. બીજી તરફ ૧૦૮ ઍમ્બ્યુલન્સે એ દીકરીને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપીને હિંમતનગર સિવિલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરીને તેને બચાવી લીધી છે. બીજી તરફ પોલીસે આ નવજાત બાળકીનાં મા-બાપને શોધવા તપાસ હાથ ધરી છે.
૧૦૮ ઍમ્બ્યુલન્સના સાબરકાંઠાના ઇમર્જન્સી મૅનેજમેન્ટ એક્ઝિ ક્યુટિવ જયમીન પટેલે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘ગાંભોઈમાં આવેલી જીઈબી પાસે ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યે એક ખેતરમાં નિંદામણના કામ માટે આવેલી ખેતરની માલિકણ સંગીતાબહેનને એક જગ્યાએ જમીન હલતી દેખાઈ હતી. કુતૂહલવશ સંગીતાબહેને એ જગ્યાએથી માટી હટાવતાં નવજાત બાળકીનો પગ દેખાયો હતો. ત્યાર બાદ તેણે બૂમ પાડતાં પાસે આવેલા જીઈબીમાંથી કર્મચારીઓ દોડી આવ્યા હતા અને જમીનમાંથી બાળકીને બહાર કાઢી હતી. બધાએ જોયું કે બાળકી જીવી રહી છે એટલે તાત્કાલિક ૧૦૮ને ફોન કરતાં અમારી ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ૧૦૮ ઍમ્બ્યુલન્સના ઈએમટી પ્રકાશ પરમાર અને પાઇલટ અરખ તિરગરે બાળકીને જોઈ ત્યારે તેના મોઢા અને નાક પર માટી લાગી ગઈ હતી, જેને કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. માટી સાફ કરીને સક્શન દ્વારા શ્વાસોશ્વાસનો રસ્તો ક્લિયર કર્યો હતો અને અમદાવાદમાં ફિઝિશ્યન સાથે વાત કરીને તેમની સલાહ પ્રમાણે બાળકીને બીવીએમ દ્વારા કૃત્રિમ શ્વાસ આપીને હિંમતનગર સિવિલ હૉસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં બાળકીને ઍડ્મિટ કરીને સારવાર શરૂ કરવામાં આવી છે.’
ADVERTISEMENT
નવજાત બાળકીને કોણે દાટી અને કયા સંજોગોમાં દાટી એ સંદર્ભની તપાસ પોલીસે હાથ ધરી છે. ગાંભોઈ અને એની આસપાસ આવેલા નર્સિંગહોમમાં પણ પોલીસે તપાસ હાથ ધરીને બાળકીનાં માતા-પિતાને શોધવા માટે કવાયત શરૂ કરી છે.