ગુજરાતમાં કોરોનાના આકરા નિયમોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. દુકાનો, હોટલો અને ધાર્મિક સહિતના સ્થળો સાંજના સાત વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
કોન્સેપ્ટ ફોટો
કોરોનાના હાહાકારને પગલે લેવાયેલા કેટલાક કડક નિયમો હળવા કરવામાં આવ્યાં છે. રાજ્યમાં કોરોના પ્રતિબંધમાં કેટલીક છૂટ આપવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોર કમિટિમાં લીધેલા નિર્ણય મુજબ રેસ્ટોરન્ટ અને હોટલો 11 જૂનથી 26 જૂન દરમિયાન સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. આ સાથે જ 50 ટકા બેસવાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
- 11 જૂનથી 26 જૂન દરમિયાન રાત્રી કર્ફ્યુનો અમલ રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી કરવાનો રહેશે.
- વેપારીઓ અને ગ્રાહક માટે રાહતના સમાચાર છે. વાણિજ્યિક એકમો, દુકાનો, લારી ગલ્લા, શોપિંગ સેન્ટર, માર્કેટયાર્ડ, બ્યુટી પાલર્ર, સલુન સહિતની વ્યાપારિક ગતિવિધિઓ સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. એટલે કે હાલની સમયમર્યાદામાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે.
- આ ઉપરાંત બાગ બગીચા પણ આ સમયગાળા દરમિયાન ખુલ્લા રહેશે. તેમજ લાઈબ્રેરી પણ 50 ટકા ક્ષમતા સાથે સવારના 6 થી સાંજના 7 સુધી ખુલ્લી રાખી શકાશે.
- ફિટનેસપ્રેમીઓ માટે સારા સમાચાર છે કે જીમ 50 ટકા ક્ષમતા ચાલુ રાખી શકાશે. આ સાથે જ કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.
- રાજ્યમાં 50 ટકા ક્ષમતા સાથે કોઈ પણ રાજકીય, સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી શકાશે.
- ધાર્મિક સ્થળોને ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવશે. પરંતુ એક સમયે 50 ટકાથી વધુ લોકો ભેગા ન થાય તે બાબતનું ધ્યાન રાખવાનું રહેશે અને એસ.ઓ.પી.નું પાલન કરવાનું રહેશે.