સુપ્રીમે યુપી સરકારને અકસ્માતમાં ઘાયલ થયેલા વકીલને પાંચ લાખ આપવા કહ્યું
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા સંબંધિત કેસની તપાસ પૂરી કરવા માટે સીબીઆઇને બે અઠવાડિયાંનો વધારે સમય આપ્યો છે. આ સિવાય કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વકીલને પાંચ લાખ રૂપિયા આપવાનું કહ્યું છે.
જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની એક બેન્ચે સીબીઆઇની ચાર અઠવાડિયાંનો વધુ સમય આપવાની માગ કરનારી અરજી પર સુનાવણી કરતાં આદેશ આપ્યો છે. સોમવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે દુષ્કર્મ પીડિતા અને તેમના પરિજનોને કહ્યું, તમે સાર્વજનિક નિવેદન આપવાથી બચ્યા કેમ કે આનાથી એક પ્રકારે આરોપીની જ મદદ થશે.
ADVERTISEMENT
કોર્ટે સાથે એ પણ કહ્યું કે જો તમારે કંઈ કહેવું હોય તો પોતાના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટને જણાવો, અમે એની પર વિચાર કરીશું.
ઉન્નાવ રેપકેસની પીડિતા પોતાના વકીલ અને પરિજનોની સાથે લખનઉ જેલમાં કેદ પોતાના કાકાને મળવા જઈ રહી હતી ત્યારે વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા એક ટ્રકે તેમની કારને ખરાબ રીતે ટક્કર મારી દીધી હતી. આનાથી કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે તરુણ તેજપાલની અરજી ફગાવી, હવે ચાલશે યૌન શોષણનો કેસ
આ ઘટનામાં પીડિતાના બે સંબંધીઓનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે વકીલ અને પીડિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઘટના બાદ પીડિતાને લખનઉની કિંગ્સ જ્યોર્જ મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિમાં સુધાર ન હોવાથી પીડિતાને દિલ્હીની એઇમ્સમાં શિફ્ટ કરવામાં આવી હતી.