ઉદ્ધવ ઠાકરે પર બીજી વાર ઍન્જિયોપ્લાસ્ટી
ઑપરેશન બાદ તેમને આરામ માટે હૉસ્પિટલમાં જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જુલાઈમાં ૫૧ વર્ષના ઉદ્ધવ પર પહેલી વાર ઍન્જિયોપ્લાસ્ટી થઈ હતી. એ સમયે ડૉક્ટરોએ તેમના હાર્ટમાં મલ્ટિ-વેસલ બ્લૉકેજ હોવાનું શોધી કાઢ્યું હતું અને તેમને ફરી હૉસ્પિટલમાં દાખલ થવું પડશે એવી સલાહ આપી હતી. એ મુજબ ડૉ. અજિત મેનન, ડૉ. મૅથ્યુ અને ડૉ. પારકરની ટીમે ઉદ્ધવ ઠાકરે પર ઑપરેશન કર્યું હતું.
ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે સવારે તેમનાં પત્ની રશ્મિ અને બન્ને પુત્રો આદિત્ય તથા તેજસ સાથે હૉસ્પિટલમાં આવ્યા હતા. હૉસ્પિટલમાં તેમના પિતરાઈ ભાઈ અને એમએનએસના પ્રમુખ રાજ ઠાકરે સહિત શિવસેનાના અનેક નેતાઓ હાજર હતા. શનિવારે રાજ્યના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે પણ તેમની તબિયતની પૂછપરછ કરી હતી. લતા મંગેશકર પણ ગઈ કાલે તેમના બાંદરામાં આવેલા માતોશ્રી નિવાસસ્થાને શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેની તબિયતના ખબર કાઢવા ગયાં હતાં.