મહારાષ્ટ્ર સરકાર અધિકારીઓની બદલીમાં જ વ્યસ્ત હોય તેમ જણાય છે : ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ
બીજેપીના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે બુધવારે આક્ષેપ કર્યો હતો કે શિવસેનાની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારને કોવિડ-19 મહામારીને ડામવા કરતાં અધિકારીઓની બદલી કરવામાં વધુ રસ હોય તેમ જણાય છે.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે બદલી મુદ્દે સરકારમાં સહકારનો અભાવ છે. તેમણે સૂચન કર્યું હતું કે વાઇરલ મહામારીને ધ્યાનમાં રાખતાં આ વર્ષે અધિકારીઓની બદલીની કામગીરી થંભાવી શકાય છે.
અત્યારે સરકારની સમસ્યા એ છે કે સમગ્ર સરકાર માત્ર બદલી કરવામાં જ રોકાયેલી છે. બદલી કરવી એ આ સરકારનું એકમાત્ર કામ બની ગયું છે એમ મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષના નેતાએ જણાવ્યું હતું. તેઓ પૂર્વ મહારાષ્ટ્રના વિદર્ભ પ્રાંતના પૂરગ્રસ્ત વિસ્તારોની બે દિવસીય પ્રવાસ પર છે.
બદલીઓ થવી જરૂરી છે, પણ જો બદલીની કામગીરીને એક વર્ષ માટે અટકાવી દેવામાં આવે તો એનાથી કંઈ બહુ મોટો ફરક નહીં પડે. અત્યંત મહત્ત્વપૂર્ણ બદલી થાય એ જરૂરી છે. મારું માનવું છે કે કોવિડના આ સમયમાં બદલીની પ્રક્રિયા પાછી ઠેલી શકાય છે એમ તેમણે ઉમેર્યું હતું.