કલમ 370 અને સર્જિકલ સ્ટ્રાઇક ફાસ્ટ ફૂડ જેવાં : શિવસેના
શિવસેના
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને હવે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ને નાબૂદ કરવાની હિંમત કરીને તેઓ લોકપ્રિય બન્યા છે, પણ આ પગલાં તો ‘ફાસ્ટ ફૂડ’ જેવાં છે. રોટી, કપડા ઔર મકાન સહિત બેરોજગારીનો આ પગલાંઓથી જવાબ મળતો નથી એવા શબ્દોમાં શિવસેનાએ બીજેપી પર ટીકાસ્ત્ર છોડ્યું છે.
દેશમાં પ્રવર્તી રહેલી ભયંકર આર્થિક મંદી સંદર્ભે શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં બીજેપી સરકારની ટીકા કરી છે. દેશ આર્થિક અરાજકતાની ખાઈમાં ધકેલાઈ રહ્યો છે અને સદીની સૌથી મોટી મંદી લાખો લોકોની નોકરીઓનો ભોગ લઈ રહી છે.
ADVERTISEMENT
ચંદ્રયાન-2 છોડ્યું, કલમ-૩૭૦ હટાવી અને સર્જિકલ સ્ટ્રાઇક કરી એનું ગૌરવ છે, પણ આ પગલાં કાંઈ બેરોજગારીનો જવાબ નથી. બેકારી અને ભૂખમરો ઊભો કરનારી અર્થવ્યવસ્થાનું ચિત્ર કેવી રીતે બદલશો? એવો સવાલ સંજય રાઉતે કર્યો છે. દેશની આર્થિક સ્થિતિ નાજુક છે. આ વિષયમાં સામાન્ય જનતાની ચાંચ ડૂબતી નથી, પણ મતદારોને રોજીરોટી એ બે વિષય જ અર્થશાસ્ત્ર તરીકે સમજાય છે. આ બન્ને બાબતો અત્યારે મુશ્કેલ બની ગઈ હોવાનું પણ સંજય રાઉતે બીજેપીને નિશાન બનાવીને કહ્યું હતું.
આ પણ જુઓ : આ રીતે પ્રેમમાં પડ્યાં હતા બોલીવુડના જાણીતા કપલ્સ, વાંચો લવસ્ટોરીઝ
સરકારે વર્ષમાં બે કરોડ નોકરી આપવાની વાત કરી હતી એની સામે ગયા વર્ષે ૧.૧૦ કરોડ લોકોની નોકરી ગઈ છે. દેશમાં ૧૧ કરોડ લોકો બેકાર હોવાથી રોજગારીનો દર ૬.૧૦ થયો છે. ૧૮ નૅશનલાઇઝ્ડ બૅન્કોનું કરજ ૧૦ લાખ કરોડની ઉપર પહોંચી ગયું છે. આથી બૅન્કિંગ ઉદ્યોગ ડૂબી ગયો છે. સરકાર દ્વારા નવું રોકાણ કરવાનો વાયદો કરાય છે, પણ અત્યાર સુધી ૫૦૧ રૂપિયાનું પણ રોકાણ આવ્યું છે? સરકાર જવાબ આપે.