અમદાવાદ બાદ સુરતથી રાહુલ ગાંધીને સમન્સ બજાવવાના આદેશ
રાહુલ ગાંધી (File Photo)
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. અમદાવાદની કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યા બાદ હવે સુરતની કોર્ટે પણ કોંગ્રેસ અધ્યક્ષને સમન્સ પાઠવવા આદેશ આપ્યો છે. સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે બદનક્ષીની ફરિયાદમાં રાહુલ ગાંધીને સમન્સ બજાવવા આદેશ આપ્યો છે.
રાહુલ ગાંધી સામે સુરતમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ આપેલા નિવેદન 'બધા મોદી ચોર છે' સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. 16 એપ્રિલે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરત કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ જ મામલે સુરતની કોર્ટે સમન્સ બજાવવા આદેશ આપ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ જાણો રાહુલ ગાંધી વિશેની અજાણી વાતો
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી વિરુદ્ધ કરેલા નિવેદન સામે મોઢવણિક સમાજ તરફથી પૂર્ણેશ મોદીએ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. 13 એપ્રિલે રાહુલ ગાંધીએ બેંગ્લોર નજીક એક જાહેરસભામાં કહ્યું હતું કે બધા જ ચોરની સરનેમ મોદી કેમ હોય છે. પ્રચારમાં કરેલા રાહુલ ગાંધીના આ નિવેદન બાદ પૂર્ણેશ મોદી દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી.