લૉર્ડ ઑફ ધ લાસ્ટ બેન્ચ
પ્રતીકાત્મક તસવીર
આજે સમાજમાં તમને કોઈ એટલે કોઈ જ હસતાં દેખાતા નથી, ખુશ નથી લાગતા. તમે કોઈ પણ ક્ષેત્ર પકડી લો, તમે કોઈ પણ ફીલ્ડ જોઈ લો. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની વ્યક્તિ હોય કે પછી લાખ રૂપિયાની સૅલેરીવાળી જૉબ હોય. બિઝનેસમૅન હોય કે પછી સ્ટુડન્ટ હોય. શિક્ષક હોય, બ્યુરોક્રેટ્સ હોય, પોલીસ હોય કે પછી સાધુ હોય. તમને આ સૌ સતત ભય, ચિંતા અને ટેન્શનમાં જ દેખાય છે. સવાર હોય કે બપોર, દિવસ હોય કે રાત. મોઢું એવું જ કે જાણે દિવેલ પીધું છે. આવું સોગિયું મોઢું રાખવાનું કારણ શું? એવું તે શું છે કે કોઈને જરાસરખી પણ ખુશી નથી? કોઈને જીવનમાં રસ નથી. માણસ ખોવાઈ ગયો છે. તમે મંદિરમાં જાઓ કે સ્મશાનમાં જાઓ, લગ્ïનમાં જાઓ કે કથામાં જાઓ. બધે જ, ઍવરેજ લોકો ભય વચ્ચે જીવે છે અને ડિપ્રેશનમાં જ રહે છે.
ભગવાને માત્ર એક મનુષ્યને જ વરદાન આપ્યું છે કે તારે ખુશ રહેવાનું છે, તારે હસવાનું છે, તારે મોજમાં રહેવાનું છે, પણ કોઈ મોજમાં નથી રહેતું, ખુશ નથી રહેતું અને કોઈના ચહેરા પર સ્માઇલ નથી દેખાતું. બધા દિવેલ પીધેલા જ અને ઊતરી ગયેલા મોઢાવાળા જ જોવા મળે છે. મને લાગે છે કે આ માટે જો કોઈ જવાબદાર હોય તો એ આપણી શિક્ષણપદ્ધતિ છે. આપણી શિક્ષણપદ્ધતિમાં સ્કૂલ અને કૉલેજો છે અને આ સ્કૂલ-કૉલેજોમાં શું છે? હંમેશાં પહેલા, બીજા અને ત્રીજા નંબરોનું જ બહુમાન થાય છે. ભાઈ, જો આ ત્રણ નંબર જ મહત્વના તો પછી છેલ્લા ત્રણ નંબરોનું શું, એ નકામા? મારા જેવા લોકો આ છેલ્લી લાઇનમાં અને છેલ્લા ત્રણ નંબરોમાં જ હોય છે. આપણે સ્કૂલમાં કે કોઈ પણ જગ્યાએ હરીફાઈ હોય છે ત્યાં પહેલા ત્રણ નંબરને જ ઇનામ આપીએ છીએ, છેલ્લા ત્રણ નંબરે પણ ભાગ તો લીધો જ છે, પણ એનું કોઈ મૂલ્ય નથી. જરા વિચારો કે આ છેલ્લા ત્રણ નંબરવાળા ભાગ જ ન લે તો? આ ત્રણ જણ એકલા દોડે અને એકબીજાની સાથે નંબરોની આપલે કરી લે. દરેક બાળક સફળ થવા જ પેદા થયું છે. ક્ષેત્ર અલગ-અલગ હોય શકે પણ થવું તો તેણે સફળ જ છે. કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી નથી એવી જ રીતે ઝાડ ઉપરનાં બે પાંદડાં પણ એકસરખાં નથી તો પછી કોઈ કોઈના જેવું કેવી રીતે હોય શકે. અબ્દુલ કલામે કહ્યું હતું કે જ્યાં સુધી છેલ્લી પાટલીવાળો ભાગ નથી લેતો ત્યાં સુધી આ પહેલી પાટલીવાળાઓની બોલબાલા છે. મૂળ વાત એ છે કે આપણી આ શિક્ષણપદ્ધતિ જ યોગ્ય નથી.
ADVERTISEMENT
એજ્યુકેશન શું છે?
આ જ સવાલને ગુજરાતીમાં પૂછી લઉં. ભણતર એટલે શું? ભણતરનો સીધો અર્થ છે કે ભણાવવું, પણ મુદ્દો એ છે કે આપણે ત્યાં આ થાય છે ખરું? ના, કેમ કે અંગ્રેજોએ જે શિક્ષણપદ્ધતિ આપી એ નોકરિયાત અને કારકુની કરનારી શિક્ષણપદ્ધતિ જ રહી છે, જેને આપણે ગૌરવ સાથે પકડી રાખી છે. આપણે માત્ર વીસ ટકા લોકો માટે જ બાકીના લોકોને તૈયાર કરવા છે અને એ જ દૃષ્ટિથી આપણે આર્કિટેક્ટ, એન્જિનિયર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, ડૉક્ટર માટે જ સ્ટાફ પેદા કરવાનું કામ કરીએ છીએ. આપણે ત્યાં એવું ભણતર હોવું જોઈએ કે કોઈ પણ બાળક કોઈ પણ ટકાવારી સાથે
સ્કૂલ-કૉલેજમાંથી બહાર આવે એટલે તેને એવું લાગવું જોઈએ કે હું મસ્ત ભણ્યો. આઇ ઍમ ધ બેસ્ટ ક્રીએશન ઑફ ગૉડ ઍન્ડ નાઓ, માય સ્કૂલ ટૂ. પણ અફસોસ, સ્કૂલમાંથી બહાર આવતાં એંસી ટકા લોકોને એમ જ થાય છે કે આપણી જિંદગી પતી ગઈ. શું અંગ્રેજો જે દાખલ કરીને ગયા એ પાંચ વિષયો જ આપણી જિંદગી છે. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોનું કોઈ મૂલ્ય જ નથી. આપણે ત્યાં સ્કૂલ અને કૉલેજોમાં સ્વામી વિવેકાનંદનું સૂત્ર મોટા અક્ષરે લખવામાં આવે છે અને બધા બોલે પણ છે, ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’
- પણ ઉઠાડશે કોણ? જગાડશે કોણ અને ક્યાં મંડ્યા રહેવાનું એ સમજાવશે કોણ?
શિક્ષણપદ્ધતિ આ ત્રણ કામ કરે છે? તો જવાબ છે ના.
આપણી શિક્ષણપદ્ધતિ આપણાં બાળકોની સાચી પરીક્ષા લે છે ખરી? પૂર્ણપણાનું રિઝલ્ટ આપે છે? જેને આપણે સફળતા કહીએ છીએ એ હકીકતમાં વિદ્યાર્થી એક વર્ષમાં કેટલું ગોખી શકે અને એ ગોખેલું પરીક્ષાના ત્રણ કલાક દરમ્યાન કેટલું ઊલટી કરી શકે એનો માપદંડ છે, બાળકની હોશિયારી કે કૌશલ્યનો માપદંડ નથી.
તમે જુઓ, આપણે આપણાં બાળકોના ભવિષ્ય સાથે શું કરી રહ્યા છીએ. એક બાળક ત્રણ-ચાર વર્ષની ઉંમરે પહેલી વાર ઘર છોડીને સ્કૂલે જાય. સરસ મજાનો તૈયાર થાય, રાજી થઈને સ્કૂલે જાય અને સાંજે આવીને પછી રડે છે. બીજા દિવસે સ્કૂલે જવાની ના પાડે છે. બાળક સ્કૂલે જવાની ના શું કામ પાડે છે? આ જવાબમાં જ આપણી શિક્ષણપદ્ધતિની નિષ્ફળતા દેખાય છે. બાળકને મનમાં એમ હોય છે કે મારાં મા-બાપથી હોશિયાર માણસ મને સ્કૂલમાં મળશે, મને સરસ વાર્તા કહેશે, મા-બાપથી પણ વધારે ધ્યાન રાખશે અને પ્રેમ કરશે અને નવું-નવું શીખવાડશે. મને આગળના જીવનમાં આવે એવું ભણાવશે. કેવી રીતે બોલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે વર્તવું એ શીખવશે, પણ એવું થતું નથી અને એને બદલે સાવ કાચો અને ડોબો શિક્ષક એ બાળકને મળે છે જે દસ-વીસ હજાર માટે નોકરી કરે છે (યાદ રહે પહેલાં તો ચાર-પાંચ હજાર જ મળતા અને હજીયે કેટલીક સ્કૂલો એવો જ પગાર આપે છે). આમાં શિક્ષકનો વાંક છે એવું કહેવા નથી માગતો, પણ આમાં શિક્ષણપદ્ધતિનો વાંક છે એવું કહેવાનો ભાવ છે. બાળમંદિર અને અંગ્રેજીના કિન્ડર ગાર્ટનના શિક્ષકો તો સૌથી હોશિયાર હોવા જોઈએ એવું મને લાગ્યું છે અને એનાથી સાવ જ ઊલટું આપણે ત્યાં છે. એ શિક્ષકો માનસશાસ્ત્રી સમાન હોવા જોઈએ, પણ આપણે ત્યાં બાલમંદિરના શિક્ષકોનું કોઈ મૂલ્ય જ નથી બોલો. એ શિક્ષકોએ તો બાળકોને જીવનના અમૂલ્ય પાઠ શીખવવાના છે. સંસ્કાર અને સંસ્કૃતિ વિશે જ્ઞાન આપે, પણ આ થતું નથી અને એનાં બે કારણો છે. એક તો એ કે જે લોકો આ શિક્ષકોનું માળખું બનાવે છે એ લોકોમાં એવી દૃષ્ટિ નથી કે તે આ વાતને વિચારે અને બીજું કારણ એ કે દસ-વીસ હજારનો કે પછી એનાથી પણ ઓછો પગાર મળતો હોય ત્યાં માનસશાસ્ત્રી સમાન શિક્ષક કામ કરવા રાજી પણ ન થાય. પ્રાઇમરીના શિક્ષકોથી લઈને કૉલેજના શિક્ષકોનો પગાર મારી દૃષ્ટિએ એક લાખ રૂપિયા હોવો જોઈએ. નોકરીના પહેલા જ દિવસે તેને રહેવા માટે સરકારે ઘર આપવું જોઈએ. આ શિક્ષકને લાલ લાઇટવાળી ગાડી મળવી જોઈએ અને આ શિક્ષકનાં બાળકોને ભણાવવાની જવાબદારી સરકારે લઈ લેવી જોઈએ. જો આવું થયું તો જે સૌથી હોશિયાર લોકો છે એ એજ્યુકેશનના ક્ષેત્રમાં આવશે અને ધીરે-ધીરે બધા જ વિદ્યાર્થીઓ તેમના હાથ નીચે એકદમ હોશિયાર બનશે. લોકો બાય-ડિફૉલ્ટ શિક્ષક નહીં બને પણ શોખથી બનશે અને એમ કરતાં દેશની આખી શિક્ષણપદ્ધતિમાં બેસ્ટ લોકો આવી જશે. બાળકની ક્ષમતા જોઈને નક્કી કરવામાં આવશે કે તેને કયા કોર્સમાં મોકલવું જોઈએ.
સ્કૂલમાં પહેલે જ દિવસે દરેક નાના બાળકને એક મોટા હૉલમાં બેસાડવામાં આવે ત્યાં બાળકો ધીંગામસ્તી કરતાં હોય, ધમાલ કરતાં હોય અથવા તો ડરેલાં હોય કે હવે કયો સત્તરસિંગો આવશે અને ત્યારે જ સ્ટેજ પર માઇકમાંથી એક અવાજ આવે.
‘ચાલો પ્રાર્થના, આંખો બંધ.’
- કેમ, ખુલ્લી આંખે પ્રાર્થના ન થઈ શકે?
પાયામાં જ ખોટ છે અને આ ખોટવાળા પાયા સાથે જ તો આપણાં બાળકો ભણવાનું શરૂ કરે છે.
આ પણ વાંચો : ની-રિપ્લેસમેન્ટ ન કરાવવું પડે એ માટે તમે શું કરશો?
ભગવાને માત્ર એક મનુષ્યને જ વરદાન આપ્યું છે કે તારે ખુશ રહેવાનું છે, તારે હસવાનું છે, તારે મોજમાં રહેવાનું છે, પણ કોઈ મોજમાં નથી રહેતું, ખુશ નથી રહેતું અને કોઈના ચહેરા પર સ્માઇલ નથી દેખાતું. બધા દિવેલ પીધેલા જ અને ઊતરી ગયેલા મોઢાવાળા જ જોવા મળે છે. મને લાગે છે કે આ માટે જો કોઈ જવાબદાર હોય તો એ આપણી શિક્ષણપદ્ધતિ છે. આપણી શિક્ષણપદ્ધતિમાં સ્કૂલ અને કૉલેજો છે અને આ સ્કૂલ-કૉલેજોમાં શું છે? હંમેશાં પહેલા, બીજા અને ત્રીજા નંબરોનું જ બહુમાન થાય છે