ભારે વરસાદમાં સર્જાતી મુશ્કેલીઓના સામનાની ક્ષમતાની ઉદ્ધવે કરી સમીક્ષા
ઉદ્ધવ ઠાકરે
મુંબઈ, કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદના સિલસિલાને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે અતિવર્ષાની સ્થિતિના મુકાબલા માટેની સરકારી તંત્રની સજ્જતાનો તાગ મેળવ્યો હતો. મુખ્ય પ્રધાને સરકારી બચાવ-રાહત તંત્રો-ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ટીમ્સને સજ્જ અને સતર્ક રહીને કુદરતી આફતને કારણે રાજ્યના નાગરિકોને મુશ્કેલી ન પડે એની તકેદારી રાખવાનો અનુરોધ કર્યો હતો. મુખ્ય પ્રધાને ગૃહ મંત્રાલયના અખત્યારમાં આવતાં તંત્રો ઉપરાંત હવામાન વિભાગના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. મુખ્ય પ્રધાને મસ્જિદ બંદર રેલવે-સ્ટેશનની પાસે અટકી પડેલી બે ટ્રેનોમાં રઝળી પડેલા 290 મુસાફરોને બચાવવા માટે રેલવે પોલીસ અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ના જવાનોની કામગીરીની પ્રશંસા કરી હતી.