મુંબઈ: બેસ્ટની બસ સળગવાની ઘટનામાં ચૅરમૅને આપ્યો તપાસનો આદેશ
બેસ્ટ બસ
શું બેસ્ટની બસો સલામત છે? બુધવારે માટુંગા ખાતે બેસ્ટની બસ સળગવાની દુર્ઘટનાની પ્રાથમિક તપાસના આધારે માલૂમ પડ્યું છે કે બે વર્ષ જૂની આ બસનું અગ્નિશામક જામ થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે મુસાફરો ભરેલી બસ સળગી ઊઠવાનો મે, ૨૦૧૯ પછી આ બીજો બનાવ છે. અગાઉની દુર્ઘટના ઘટી તે બસો સીએનજીની હતી, જ્યારે હમણાંના કિસ્સામાં ડીઝલ બસ હતી. બેસ્ટના ચૅરમૅને આ મામલે તપાસનો આદેશ આપ્યો છે.
ડ્રાઇવરે જણાવ્યું હતું કે ‘બસ મુલુન્ડ અને વરલી વચ્ચે આવેલા મહેશ્વરી ઉદ્યાન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે મને સ્વિચ બૉક્સમાંથી ધુમાડાની ગંધ આવતા મેં બૉક્સ ખોલીને જોયું તો વાયર સળગી રહ્યો હતો. મેં કન્ડક્ટરને અગ્નિશામક લાવવા કહ્યું હતું, તેણે પ્રયત્નો કર્યા પછી જણાવ્યું કે તે જામ થઈ ગયું હતું.’
ADVERTISEMENT
ડ્રાઇવર ટટુ ફર્નાન્ડિસે તપાસ દરમ્યાન લેખિત નિવેદન આપ્યું હતું. જેની એક નકલ ‘મિડ-ડે’ પાસે છે. ડ્રાઇવરે ઉમેર્યું હતું કે ‘બાદમાં હું નજીકની રેસ્ટોરાં તરફ ધસી ગયો હતો અને ત્રણ એક્સ્ટિન્ગ્યુશર્સ (અગ્નિશામકો) ખાલી કર્યા બાદ પણ આગ કાબૂમાં નહોતી આવી. આથી અમે નજીકમાં પસાર થતી બેસ્ટની અન્ય બસોને થોભાવીને ચાર અગ્નિશામકનો ઉપયોગ કર્યો હતો, પણ આગ કાબૂમાં નહોતી આવી. છેલ્લે અમે પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી.’
આ પણ વાંચો : સાતેય જળાશય પાણીથી છલોછલ થતાં આવતા ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી
વાયરને બૅટરીથી ડિસકનેક્ટ કરવો જરૂરી હોવાથી ડ્રાઈવરે નજીકની દુકાનોમાંથી પાનું મેળવવાનો પ્રયત્ન કર્યો હતો અને બાદમાં ફાયર ડિપાર્ટમેન્ટે વાયર કાપી નાખતાં આગ ફેલાતી અટકી હતી.