કર્મણ્યેવાધિકારસ્તે કોને કહેવાય એ સુષમાજીએ દેખાડ્યું: મોદી
મોદી
ભૂતપૂર્વ વિદેશપ્રધાન સુષમા સ્વરાજને મંગળવારે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સિવાય પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ કહ્યું કે ‘કર્મણ્યેવાધિકારસ્તે શું હોય છે એ સુષમાજીએ જીવનમાં દેખાડ્યું. તેમના વ્યક્તિત્વનાં ઘણાં પાસાં હતાં. જીવનના અનેક પડાવ હતા.’
અમિત શાહે કહ્યું કે સુષમાજીએ સમગ્ર વિશ્વમાં ભારતીયોની મદદ કરી હતી, તો રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે તેઓ જન મનનાં નેતા હતાં.
તેમણે કહ્યું કે બીજેપીના કાર્યકરના રૂપમાં એક અનન્ય નિકટના સાથી તરીકે તેમની સાથે કામ કરતાં-કરતાં અનેક અનુભવો અને ઘટનાઓના અમે સાક્ષી છીએ. વ્યવસ્થા અને અનુશાસન અંતર્ગત જે કામ મળે એને લગનથી કરવું અને વ્યક્તિગત જીવનમાં ખૂબ મોટી ઊંચાઈ પ્રાપ્ત કર્યા બાદ પણ કરવું એ કાર્યકરો માટે સૌથી મોટી પ્રેરણા છે.
ADVERTISEMENT
મોદીએ કહ્યું હતું કે ‘આ વખતે સુષમાજીએ લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો. આવો જ નિર્ણય તેમણે પહેલાં પણ કર્યો હતો. તેઓ પોતાના વિચારોમાં એકદમ મક્કમ રહેતાં હતાં. મેં અને વેન્કૈયાજીએ તેમની સાથે મુલાકાત કરી તો તેમણે ના પાડી. અમે તેમને કર્ણાટકની વિપરીત પરિસ્થિતિઓમાં ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો હતો. તેઓ પરિણામ જાણતાં હોવા છતાં તેમણે એવું કર્યું. આ વખતે અમે તેમને ખૂબ સમજાવ્યાં, પરંતુ તેમણે સાર્વજનિક રીતે જાહેરાત કરી દીધી હતી.
આ પણ વાંચો : LoC પર પાકિસ્તાને કોઈ પણ હરકત કરી તો આકરો જવાબ આપીશું: આર્મી ચીફ
મોદીએ કહ્યું કે ‘તેઓ મને જયશ્રી કૃષ્ણ કહેતાં અને હું તેમને જય દ્વારકાધીશ કહેતો હતો. કર્મણ્યે વાધિકારસ્તે શું હોય છે એ સુષમાજીએ તેમના જીવનમાં દેખાડ્યું છે. તેઓ સેંકડો કલાક સુધી અલગ-અલગ ફોરમમાં અનુચ્છેદ-૩૭૦ અને કાશ્મીર પર બોલ્યાં હશે. આ મુદ્દાથી તેમને ખૂબ લગાવ હતો. સુષમાજી ગયા પછી હું બાંસુરીને મળ્યો. તેમણે કહ્યું કે સુષમાજી એટલી ખુશી સાથે ગયાં છે કે એની માત્ર કલ્પના જ કરી શકાય. તેમનું મન નાચી રહ્યું હતું.’