ચોકીદાર જ્યાં સુધી રહેશે, જીવવાનું મુશ્કેલ કરી દેશે- આગ્રામાં મોદી
મોદીએ ઉત્તરપ્રદેશના આગ્રામાં જનસભાને સંબોધી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મહારાષ્ટ્રના સોલાપુર અને ઉત્તરપ્રદેશના આગ્રામાં રેલીઓ કરી. આ દરમિયાન તેમણે વિપક્ષીય દળો પર જબરદસ્ત નિશાન સાધ્યું. તેમણે આગ્રામાં સવર્ણ અનામત બિલને લઈને સપા અને બસપા પર પણ નિશાન સાધ્યું. મોદીએ કહ્યું કે ચોકીદારના ડરથી જે લોકો ક્યારેય આંખ નહોતા મેળવતા તેઓ આજે હાથ મિલાવી રહ્યા છે. જ્યારે સોલાપુરમાં મોદીએ કહ્યું કે મંગળવારે લોકસભામાં ઐતિહાસિક નિર્ણ લેવામાં આવ્યો. દેશમાં અનામતના નામે કેટલાક લોકો દ્વારા જૂઠાણું ફેલાવવામાં આવતું હતું કે દલિતો, પછાતો અને આદિવાસીઓને મળેલા અનામતને ઓછું કરવામાં આવશે, પરંતુ અમે કશુંપણ ઓછું કર્યા વગર વધારાના 10% અનામત આપીને તમામની સાથે ન્યાય કરવાનું કામ કર્યું છે.
આગ્રામાં મોદીએ સવર્ણ અનામત બિલ માટે કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું- અત્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે મોદીજી આ બિલ ચૂંટણીના સમયે કેમ લાવ્યા. ત્રણ મહિના પહેલા લાવતા તો કહેતા કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી છે એટલે આ બિલ લાવ્યો છું. દેશમાં દરેક વખતે ક્યાંક ને ક્યાંક ચૂંટણી થતી રહે છે. મેં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે કરાવવાની વાત કરી હતી, કારણકે પોલીસ કાયદો-વ્યવસ્થા સંભાળે કે ચૂંટણી. પરંતુ, દેશના નેતાઓને તેની ચિંતા નથી. તેઓ ચોકીદારને દૂરથી જ જોઈને ગભરાઈ જાય છે. તેઓ ઇચ્છે છે કે પહેલા ચોકીદારને કાઢો, જે અમારું જીવવું મુશ્કેલ કરી દેશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: સરકાર બન્યા પછી ભારતના દરેક ખેડૂતનું દેવું માફ કરીશું- જયપુરમાં રાહુલ
તેમણે કહ્યું- મિશેલ મામાની વાર્તા તો તમને લોકોને યાદ થઈ ગઈ હશે. અગસ્તા-વેસ્ટલેન્ડ કૌભાંડનો રહસ્યકર્તા અમારા કબ્જામાં છે. કેટલાક લોકોને પરસેવો છૂટી રહ્યો છે કે તે કંઇક બોલી ન નાખે. જેવો તેને લાવવામાં આવ્યો, કોંગ્રેસના વકીલ મદદ માટે પહોંચી ગયા. દાળમાં કંઇક કાળું છે, જે તમને સમજાઈ જ જશે ને. પડદાની પાછળનો ખેલ શું છે, એ તો સમજાઈ જશે ને. ચાર વર્ષથી ચોકીદાર ત્યાંનો ત્યાં જ ઊભો છે, આ લોકો હેરાન થઈ ગયા છે.