કોરોનાની કૉલર ટ્યૂનમાંથી અમિતાભનો અવાજ હટાવવા હાઈ કોર્ટમાં પીઆઇએલ
તસવીર સૌજન્ય જાગરણ
કોરોના વાઇરસથી બચવા માટે લેવાની તકેદારી અંગેની કૉલર ટ્યૂનમાંથી મૅગાસ્ટાર અમિતાભ બચ્ચનનો અવાજ દૂર કરવા માટે કેન્દ્રને આદેશ કરવાની માગણી કરતી પીઆઇએલ દિલ્હી હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ માટે અમિતાભ અને તેના પરિવારજનો સ્વયં કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા હોવાનું કારણ રજૂ કરવામાં આવ્યું છે.
પીઆઇએલ અનુસાર, વિનામૂલ્યે સેવા આપવા ઇચ્છુક કેટલાક જાણીતા કોરોના વૉરિયર્સ ગુરુવારે ચીફ જસ્ટિસ ડી. એન. પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંઘની બેન્ચ સમક્ષ સુનાવણી માટે ઉપસ્થિત રહ્યા હતા.
પિટિશનકર્તાના વકીલ સુનાવણી માટે હાજર ન રહી શકતાં બેન્ચે ૧૮ જાન્યુઆરીની તારીખ નક્કી કરી હતી.
દિલ્હીના રહેવાસી અને સોશ્યલ વર્કર રાકેશ દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનમાં જણાવ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર કૉલર રિંગટોનમાં નિવારણાત્મક પગલાં બોલવા માટે અમિતાભને નાણાં ચૂકવે છે, એમ ઍડ્વોકેટ એ. કે. દુબે અને પવન કુમાર થકી દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું હતું.
કેટલાક કોરોના વૉરિયર્સ એવા છે જેઓ દેશની નિષ્ઠાપૂર્વક સેવા કરી રહ્યા છે અને જરૂરના સમયે ગરીબોને મદદ કરી રહ્યા છે અને તેમને ખોરાક, વસ્ત્રો અને આશ્રય પૂરાં પાડી રહ્યાં છે અને કેટલાક કોરોના વૉરિયર્સે તેમની પૂંજી ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પાછળ વાપરી નાખી છે. વળી, કેટલાક જાણીતા કોરોના વૉરિયર્સ હજી પણ કોઈ પણ પ્રકારનાં નાણાં લીધાં વિના સેવા બજાવવા તૈયાર છે, એમ અરજીમાં જણાવાયું હતું.
એમાં આગળ જણાવવામાં આવ્યું હતું કે ‘અમિતાભ બચ્ચનનો ઇતિહાસ ખરડાયેલો છે અને તે સોશ્યલ વર્કર બનીને દેશની સેવા નથી કરી રહ્યા.’